નવી દિલ્હી:  સંસદની સૌથી મહત્વની બંધારણીય સમિતિ જાહેર હિસાબ સમિતિ (PAC - પબ્લીક એકાઉન્ટ કમિટી) ની સબકમિટી એક્શન ટેકન રિપોર્ટસ (ATR)ના કન્વીનર તરીકે ગુજરાતના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. 

Continues below advertisement

આ કમિટીમાં અલ્ટરનેટીવ કન્વીનર તરીકે  ઘર્મેન્દ્ર યાદવ (સાંસદ, ઉત્તર પ્રદેશ) ની નિમણુંક થયેલ છે. જ્યારે સમિતિના સભ્યો તરીકે ડૉ. સુધાંશુ ત્રિવેદી, સુખેન્દુ શેખર રે,  અપરાજિતા સારંગી,  પ્રફુલ પટેલ તથા નિશિકાંત દુબે નિયુક્ત થયેલ છે.

આ સમિતિ ભારત સરકારના તમામ વિભાગોના કેગ (CAG) દ્રારા થયેલ ઓડીટ અને જાહેર હિસાબ સમિતિએ કરેલી ભલામણો ઉપરના એક્શન ટેકન રિપોર્ટની તપાસણી કરશે અને દરેક વિભાગોની કાર્યવાહી ઉપરનો અહેવાલ તૈયાર કરશે.  

Continues below advertisement

પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) એ ભારતની સંસદ દ્વારા રચાયેલી સંસદના પસંદ કરેલા સભ્યોની સમિતિ છે, જે ભારત સરકારના મહેસૂલ અને ખર્ચનું ઓડિટ કરવાના હેતુથી બનાવવામાં આવી છે. 

કોણ છે શક્તિસિંહ ગોહિલ?

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો.  જો શક્તિસિંહના અભ્યાસની વાત કરીએ તો તેઓએ બીએસસી,એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું છે.

શક્તિસિંહ ગોહિલની રાજકીય સફર

શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા હતા. 1990માં તે AICCના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે. ઘણી વખત શક્તિસિંહે કોંગ્રેસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે.

શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી વર્ષ 1990, 1995 ઉપરાંત 2007ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2014ની પેટાચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી. શક્તિસિંહ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

સૌથી નાની વયે બન્યા હતા મંત્રી

શક્તિસિંહ ગોહિલ ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે જાણીતા છે. વર્ષ 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળી તેમની યોગ્યતા પૂરવાર કરી હતી. તેઓ ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.