મુંબઇઃ દેશમાં કાતિલ કોરોના વાયરસથી સૌથી વધુ મહારાષ્ટ્ર પ્રભાવિત થયું છે. રાજ્યની રાજધાની મુંબઇમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાસ વાત છે કે મહામારીની ઝપેટમાં મુંબઇ પોલીસકર્મીઓ પણ આવી ગયા છે, અને ત્રણે તો જીવ પણ ગુમાવી દીધો છે.


હવે પોલીસવાળાઓને બચાવવા માટે મુંબઇ પોલીસે એક મોટો નિર્ણય લીધો છે, મુંબઇ પોલીસે 55 વર્ષથી વધુ ઉંમરવાળા પોલીસવાળાઓને ડ્યૂટી ના કરાવવાનું નક્કી કર્યુ છે.



મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહે જણાવ્યુ કે તંત્રએ આ નિર્ણય આપણા ત્રણ સાથી પોલીસકર્મીઓના મોત બાદ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધી લગભગ 96 પોલીસકર્મી કોરોના વાયરસનો શિકાર બની ચૂક્યા છે. આમાંથી લગભગ 40 ફક્ત મુંબઇના છે.

25 એપ્રિલે મુંબઇમાં 57 વર્ષીય પોલીસ કૉન્સ્ટેબલનુ મોત થયુ હતુ, કોરોના સંક્રમિત થયા બાદ તેમને કસ્તુરબા હૉસ્પીટલ લઇ જવાયા હતા.

નોંધનીય છે કે, અત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 8590 કેસો છે, અને 369 લોકોના મોત થઇ ચૂક્યા છે, 1282 લોકો સાજા થયા છે.