Yogi Cabinet News: ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી ભાજપે ઇતિહાસ રચી દીધો છે. હવે યોગી આદિત્યનાથ જલદી પોતાની બીજી ઇનિંગ શરૂ કરશે. જાણો ક્યા ધારાસભ્યો છે જેને યોગી કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. યોગી કેબિનેટમાં કોને નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ બનાવવામાં આવશે જેના નામની ચર્ચા થઇ રહી છે.


કેશવ પ્રસાદ મૌર્ય


સૌ પ્રથમ વાત નાયબ મુખ્યમંત્રીના પદ પર કારણ કે ચૂંટણીમાં ભાજપની જીત સાથે ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની હારની પણ ખૂબ ચર્ચા થઇ હતી.સૂત્રોના મતે 2024માં જાતીય સમીકરણને સાધવા માટે  ભાજપ કેશવ પ્રસાદ મૌર્યને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તેમણે 2017માં પ્રદેશ અધ્યક્ષ રહેતા ઉત્તર પ્રદેશમાં ભાજપને રેકોર્ડ જીત અપાવી હતી. તે યુપીમાં ભાજપનો સૌથી મોટો ઓબીસી ચહેરો પણ છે.


સ્વતંત્ર દેવ સિંહ


ફરીથી યુપીમાં સત્તા જાળવી રાખવાનો શ્રેય પણ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને જાય છે અને હવે પાર્ટી ડેપ્યુટી સીએમ પદ દ્વારા તેમની મહેનતનું વળતર આપી શકે છે.  યોગી સરકારમાં પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. વર્ચસ્વ ધરાવતા કુર્મી સમુદાયમાંથી આવે છે.


બેબી રાની મૌર્ય


મહિલા મતદારો આ વખતે ભાજપ પ્રત્યે ખૂબ જ મહેરબાન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને હવે ડેપ્યુટી સીએમના પદ દ્વારા મહિલાને પણ મોટા હોદ્દા પર પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે અને બેબી રાની મૌર્યા આ રેસમાં ફિટ બેસે છે. કારણ કે તેમની તાજપોશીથી ભાજપ એક તીરથી બે નિશાન સાધી શકે છે. તે  જાટવ સમુદાયમાંથી આવે છે. યુપી ભાજપનો એક મોટો મહિલા ચહેરો છે. ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.


બ્રજેશ પાઠક


સૂત્રોને ટાંકીને ડેપ્યુટી સીએમ પદ પરથી દિનેશ શર્માને હટાવવામાં આવે તે નક્કી છે. તેમના સ્થાને અન્ય બ્રાહ્મણ ચહેરા બ્રજેશ પાઠક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. યોગી સરકારમાં કાયદા મંત્રી રહી ચૂક્યા છે. ભાજપનો મોટો બ્રાહ્મણ ચહેરો છે. લોકસભા-રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.


બીજી તરફ મંત્રીઓની વાત કરીએ તો ઘણા જૂના ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. નવા ચહેરાઓને પણ તક મળી શકે છે. કન્નૌજથી ધારાસભ્ય અસીમ અરુણ, બલિયાના ધારાસભ્ય દયાશંકર સિંહ, નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. અગાઉના કેબિનેટના ચહેરા સિદ્ધાર્થનાથ સિંહ અને શ્રીકાંત શર્માની વાપસી પણ નિશ્ચિત માનવામાં આવે છે.