યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ થયાનો દાવો ખોટો નીકળ્યો હતો. મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે 'ભારતના ગ્રાન્ડ મુફ્તી' કંથાપુરમ એપી અબુબકર મુસલિયાર દ્ધારા નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા અંગે કરવામાં આવેલા દાવાઓને "ખોટા" ગણાવ્યા હતા.

સોમવારે એક નિવેદનમાં ગ્રાન્ડ મુફ્તીએ દાવો કર્યો હતો કે યમનમાં ભારતીય નાગરિક નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને હજુ સુધી યમનના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર લેખિત સંદેશ મળ્યો નથી.

વિદેશ મંત્રાલયના સૂત્રોએ આજે જણાવ્યું હતું કે, "નિમિષા પ્રિયા કેસમાં કેટલાક લોકો તરફથી શેર કરવામાં આવી રહેલી માહિતી ખોટી છે."

નોંધનીય છે કે કેરળની 37 વર્ષીય નર્સ પ્રિયાને 2017માં મહદી નામના યમનના નાગરિકની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી અને 2018માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ વર્ષે 16 જૂલાઈના રોજ તેણીને ફાંસી આપવાની હતી. જોકે, તે મુલતવી રાખવામાં આવી હતી.

અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણીની મૃત્યુદંડની સજાને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય સનામાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો જ્યાં ભારતીય ગ્રાન્ડ મુફ્તીની વિનંતી પર શેખ ઉમર હફીલ થંગલ દ્વારા ચૂંટાયેલા વરિષ્ઠ યમનના વિદ્વાનોએ ઉત્તર યમનના શાસકો અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીઓ સાથે વાતચીત કરી હતી. મુસલિયારના કાર્યાલયે વધુમાં દાવો કર્યો હતો કે કેસ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જોકે, વધુ ચર્ચા-વિચારણાની અપેક્ષા હતી.

કેરળની 34 વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્લાની છે. 2008માં નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં તેણી એક સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો મહદીને મળી, જેની સાથે તેણીએ ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહદીએ નિમિષાને હેરાન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ કહેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે.

યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિમિષાએ 2017માં કથિત રીતે તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો. કારણ કે મહદીનું મૃત્યુ સંભવિત ઓવરડોઝથી થયું હતું. આ પછી યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.

2018માં તેને હત્યાની દોષિત ઠેરવવામાં આવી હતી અને 2020માં યમનની એક કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં રહ્યો હતો. માનવાધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ તેની સજા સામે ઝૂંબેશ શરૂ કરી હતી.