Nirav Modi Extradition: ભાગેડુ નીરવ મોદીને લાવવામાં આવશે ભારત, UKની કોર્ટે પ્રત્યાર્પણ માટે આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2021 04:41 PM (IST)
પંજાબ નેશનલ બેન્કમાં કરોડોનું કૌભાંડ આચરી નીરવ મોદી ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. નીરવ મોદી હાલમાં બ્રિટની જેલમાં બંધ છે
ફાઈલ તસવીર
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કમાં મેહલુ ચોક્સી સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર હિરાના બિઝનેસમેન નીરવ મોદીને યુકેની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેને ભારતમાં પ્રત્યાર્પણ માટે લીલી ઝંડી આપી દીધી છે. નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. તેના બાદ ભારત સરકારે નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાની શરુ કરી હતી. નીરવ મોદી હાલમાં બ્રિટની જેલમાં બંધ છે. પ્રત્યાર્પણથી બચવા માટે નીરવ મોદી દ્વારા ભારતમાં સરકારી દબાણ, મીડિયા ટ્રાયલ અને કોર્ટની કમજોર સ્થિતિને લઈ આપવામાં આવેલી દલીલોને વેસ્ટમિંસ્ટર કોર્ટે નકારી દીધી હતી. બ્રિટનની કોર્ટે આ વાતને પણ નકારી દીધી છે કે, નીરવ મોદીની માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્યને પ્રત્યાર્પણ માટે ફિટ નથી. કોર્ટે આર્થર રોડના બેરેક 12માં નીરવ મોદીને રાખવા અંગે આપવામાં આવેલા આશ્વાસનોને પણ સંતોષકારક ગણાવ્યો. કોર્ટે કહ્યું કે, તેને મુંબઈના આર્થર રોડ જેલના બેરેક 12માં જ રાખવામાં આવશે. તેને ભોજન, સ્વચ્છ પાણી, સ્વસ્છ ટોઈલેટ, બેડની સુવિધા આપવામાં આવશે, મુંબઈ સેન્ટ્રલ જેલના ડોક્ટરો પણ નીરવ માટે ઉપલબ્ધ રહેશે. નીરવ મોદીને પ્રત્યાર્પણ વોરંટ પર 19 માર્ચે 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણ મામલે થયેલી સુનાવણી દરમિયાન તે વોન્ડ્સવર્થ જેલથી વીડિયો લિંક દ્વારા સામેલ થયો હતો.