Nitin Gadkari Quit Politics : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. તેમણે ફરી એકવાર સંકેત આપ્યો છે કે, તેઓ રાજકારણમાં રસ ગુમાવી રહ્યા છે. ગડકરીના નિવેદન બાદ એવી અટકળો ચાલી રહી છે કે, તેમની અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે બધુ બરાબર નથી. એવી પણ અટકળો છે કે ભાજપ તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ નહીં આપે.



તાજેતરમાં જ નાગપુરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભલે તેઓ બે ચૂંટણી જીત્યા હોય પરંતુ તેઓ ઈચ્છે છે કે લોકો તેમને ત્યારે જ મત આપે જ્યારે તેઓને લાગે કે તેમને મત આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું કોઈને એક મર્યાદાથી વધુ ખુશ નથી કરતો. મારી જગ્યાએ બીજું કોઈ આવે તો પણ મને કોઈ વાંધો નથી. કારણ કે, પછી હું મારા કામને વધુ સમય આપી શકીશ. આ દરમિયાન ગડકરીએ વૈકલ્પિક ઉર્જા સાથે સંબંધિત તેમના કેટલાક સાહસોનો ઉલ્લેખ કર્યો.

જોકે ગડકરીના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, મંત્રીના નિવેદનને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું હતું કે, તેમણે (ગડકરી) માત્ર એટલું જ કહ્યું કે, તેઓ મત મેળવવા માટે તુષ્ટિકરણની રાજનીતિ કરી શકતા નથી.

આ પહેલા પણ ગડકરી સાર્વજનિક મંચ પર આવા જ નિવેદન આપી ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં હલબા આદિવાસી મહાસંઘના સભ્યોને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, તેઓ જેને ઈચ્છે તેને વોટ આપી શકે છે, કારણ કે કોને વોટ આપવો તે તેમનો નિર્ણય છે.

ગયા વર્ષે જુલાઈમાં પણ તેમણે કહ્યું હતું કે, તેમને ક્યારેક લાગે છે કે, તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ. કારણ કે સમાજ માટે અન્ય ઘણી બાબતો છે. ત્યાર બાદ આકસ્મિક રીતે તેઓ માત્ર ભાજપ સંસદીય બોર્ડમાંથી જ બહાર કરાયા પણ સાથો સાથ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પણ સ્થાન મેળવી શક્યા નહીં.

નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014 પહેલા તેમણે ક્યારેય સીધી ચૂંટણી એટલે કે લોકસભા સાંસદ કે ધારાસભ્યની ચૂંટણી લડી ન હતી. તેઓ ગ્રેજ્યુએટ ક્ષેત્રમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં MLC રહ્યા હતા. 2014માં તેમણે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી અને 7 વખતના સાંસદ વિલાસ મુત્તેમવારને હરાવ્યા હતાં. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નાના પટોલેને હરાવ્યા હતા.