નવી દિલ્હી: ભારતીય રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા પર વિચાર કરી રહી છે. સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના હેઠળ લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી સ્લીપર કોચને પુરી રીતે હટાવી દેવામાં આવશે. એટલે આ ટ્રેનોમાં માત્ર એસી કોચ રહેશે. આ પ્રકારની ટ્રેનની મહત્તમ સ્પીડ 130-160 કિલોમીટર પ્રતિ કલાક હશે. રેલ્વે મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે તેની તમામ ટ્રેનોને અપગ્રેડ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.


મેલ અને એક્સપ્રેસ ટ્રેનના 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધારે ઝડપથી ચાલવાથી નોન એસી કોચ ટેક્નીકલ સમસ્યા ઉભી કરે છે, તેથી આ પ્રકારની તમામ ટ્રેનોમાંથી સ્લીપર કોચને કાઢી દેવામાં આવશે.

લાંબી મુસાફરીની મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં હાલમાં 83 એસી કોચ લગાવવાની જોગવાઈ છે. ત્યારે આ વર્ષના અંત સુધી કોચની સંખ્યા વધારીને 100 કરી દેવામાં આવશે. ત્યારે આગામી વર્ષે કોચની સંખ્યા 200 કરવાનો પ્લાન છે. એટલે કે આવનારા સમયમાં મુસાફરી વધુ આરામદાયક અને ઓછા સમયવાળી રહેશે. ત્યારે સારી વાત એ પણ છે કે તેના બદલામાં ભાડુ પણ સામાન્ય એસી કોચના પ્રમાણમાં ઓછુ જ રાખવાનો પ્લાન છે.

નોન એસી કોચવાળી ટ્રેનની ઝડપ એસી કોચવાળી ટ્રેનોના પ્રમાણમાં ઓછી હશે. મળતી માહિતી મુજબ આ તમામ કામ ચરણબદ્ધ રીતે કરવામાં આવશે, સાથે જ નવા અનુભવોને ધ્યાનમાં રાખતા આગળની યોજના બનાવવામાં આવશે.