Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા (Doda)  જિલ્લામાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષાકર્મી શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે (16 જુલાઈ, 2024) આ માહિતી આપી હતી.






અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.






તેમણે કહ્યું હતું કે 20 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા ગોળીબારમાં એક અધિકારી સહિત ચાર સુરક્ષાકર્મી અને એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેમાંથી ચારના મોત થયા છે.






ભારતીય સેનાએ શું કહ્યું?


સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે અને છેલ્લી માહિતી મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.


સૈન્યની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વધારાની ટુકડીઓ આ વિસ્તારમાં મોકલવામાં આવી છે, ઓપરેશન ચાલુ છે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."


જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં એક સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું હતું.


અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક અધિકારી સહિત ચારનું મંગળવારે સવારે સારવાર દરમિયાન નિધન થયું હતું. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી.