Omar Abdullah Horse Trading: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં એક નવો જ ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે તેમની પાર્ટી 'નેશનલ કોન્ફરન્સ'ના એક ધારાસભ્યને પક્ષ પલટો કરવા માટે 20 થી 30 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઓફર આપવામાં આવી છે. આ દાવા બાદ કાશ્મીરથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો આવી ગયો છે. ઓમરે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રાજ્યનો દરજ્જો પાછો મેળવવા માટે 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરી દીધી છે.

Continues below advertisement

શનિવારે (11 જુલાઈ) બેગમ અકબર જહાં અબ્દુલ્લાની 26મી પુણ્યતિથિ નિમિત્તે હઝરતબલ ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધતી વખતે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મોટો ખુલાસો કર્યો હતો. તેમણે વિરોધીઓ પર સીધો નિશાન સાધતા કહ્યું કે, "અમારી પાર્ટીને તોડવાના ફરી એકવાર પ્રયાસો થઈ રહ્યા છે. મને જાણવા મળ્યું છે કે જમ્મુના અમારા એક ધારાસભ્યને તેમની સાથે જોડાવા બદલ 20 થી 30 કરોડ રૂપિયા, મંત્રીપદ અને રાજ્યનો દરજ્જો પાછો અપાવવાની લાલચ આપવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે, "આ લોકો એવું માને છે કે લોકોનો અંતરાત્મા આટલો સસ્તો છે." જોકે, ઓમરે આ ધારાસભ્ય કે ઓફર આપનારનું નામ જાહેર કર્યું ન હતું.

Continues below advertisement

દિલ્હીમાં 20 જુલાઈએ મોટું આંદોલન

પોતાની વાતને આગળ વધારતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે નેશનલ કોન્ફરન્સે રાજ્યનો દરજ્જો પાછો મેળવવા માટે સંઘર્ષની જગ્યાએ વાતચીતનો રસ્તો અપનાવ્યો હતો. તેમણે કહ્યું, "અમે કેન્દ્રને તેના વચનો પૂરા કરવા જાણીજોઈને પૂરતો સમય આપ્યો હતો, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે અમારે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે." આ માટે 20 જુલાઈએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે પાર્ટી દ્વારા એક ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે.

ભાજપ અને કેન્દ્રને ખુલ્લી ચેલેન્જ

ઓમરે ભાજપને સીધી ચેલેન્જ આપતા કહ્યું કે જો તેઓ પાછલા બારણેથી સરકારમાં ઘૂસવા માંગતા હોય તો જાહેરમાં કહેવાની હિંમત રાખે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કલમ 370 ની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે આપેલા 'રોડમેપ'ની યાદ અપાવતા પૂછ્યું કે, "સીમાંકન થઈ ગયું, ચૂંટણીઓ પણ યોજાઈ ગઈ અને જનતાએ અમને બહુમતી પણ આપી દીધી, તો હવે અમારો વાંક શું છે? રાજ્યનો દરજ્જો પાછો આપવાનું વચન હજુ પણ કેમ અધૂરું છે?"

"બધું રાજભવનથી જ ચલાવવું હતું તો ચૂંટણીઓ કેમ કરાવી?"

લેફ્ટનન્ટ ગવર્નર (LG) શાસન પર સવાલ ઉઠાવતા ઓમરે રોષ ઠાલવ્યો કે, "જો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા સહિતના તમામ મોટા નિર્ણયો રાજભવનમાંથી જ લેવાવાના હતા, તો પછી આ ચૂંટણીઓ કરાવવાનો મતલબ જ શું છે? જો અમારા હાથ પીઠ પાછળ બાંધીને જ રાખવા હતા તો અમને સરકારમાં શા માટે લાવવામાં આવ્યા?"

અંતમાં તેમણે 1984 નો ઇતિહાસ યાદ કરતા કહ્યું કે તેમણે શેર-એ-કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લાની જેલ અને પાર્ટીના ભાગલા જોયા છે, છતાં તેમણે ક્યારેય ધીરજ નથી ગુમાવી. "અમારી ધીરજ એ અમારી નબળાઈ નથી, પણ તાકાત છે અને અમે અમારા હકો માટે લડતા રહીશું," તેમ કહીને તેમણે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગ વધુ બુલંદ કરી હતી.