Operation Sindoor:Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂરમાં એક મોટો આતંકવાદી ઠાર મરાયો છે. ભારતીય સેનાએ કંદહાર વિમાન અપહરણના માસ્ટરમાઇન્ડ રૌફ અઝહરને ઠાર માર્યો. તે મિસાઇલ હુમલામાં માર્યો ગયાની પુષ્ટી થઇ છે. મંગળવાર અને બુધવારની રાત્રે સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય દળોએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. હવે આ ઓપરેશન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આતંકવાદી રઉફ અઝહર ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. રઉફ અસગર IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો, જેને કંદહાર વિમાન હાઇજેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અબ્દુલ રઉફ અઝહરની ભૂમિકા
અબ્દુલ રઉફ અઝહર 1999ના કંદહાર વિમાન હાઇજેક (IC-814)નો માસ્ટરમાઇન્ડ હતો. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો. રઉફે પોતાના ભાઈને ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળીને હાઇજેકિંગનું કાવતરું ઘડ્યું હતું. તેણે કાઠમંડુમાં ઓપરેશનની યોજના બનાવી અને તેના ભાઈ ઇબ્રાહિમ અતહર સહિત અપહરણકારો સાથે સંકલન કર્યું. રઉફની ભૂમિકા વ્યૂહરચના ઘડવા અને સૂચનાઓ આપવા સુધી મર્યાદિત હતી. બાદમાં તે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલાઓમાં સક્રિય હતો. તે ભારતમાં 'મોસ્ટ વોન્ટેડ' રહ્યો છે.
IC-814 હાઇજેકની કહાણી
24 ડિસેમ્બર ૧૯૯૯ના રોજ, કાઠમંડુ (નેપાળ) થી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-8 14નું પાંચ માસ્ક પહેરેલા આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 176 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા. આ ભારતીય ઇતિહાસની સૌથી લાંબી અને ભયાનક હાઇજેકિંગ ઘટનાઓમાંની એક છે, જે 7 દિવસ સુધી ચાલી હતી. હાઇજેકર્સ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ અને અંતે કંદહાર, અફઘાનિસ્તાન લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું.
વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ, આતંકવાદીઓએ કોકપીટ પર કબજો કરી લીધો અને બંદૂકની અણીએ પાઇલટને વિમાનને કાબુલ લઈ જવાનો આદેશ આપ્યો. લાહોરમાં પાકિસ્તાની અધિકારીઓએ પરવાનગી વિના ઉતરાણની મંજૂરી આપી અને રિફ્યુઅલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ વિમાન દુબઈ પહોંચ્યું, જ્યાં 27 મુસાફરો (મહિલાઓ અને બાળકો) અને રુપિન કાત્યાલના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા. અપહરણકર્તાઓ સાથેની અથડામણમાં કાત્યાલનું મોત થયું.
25 ડિસેમ્બરે, વિમાન કંદહાર પહોંચ્યું, જ્યાં તાલિબાને મધ્યસ્થી કરી. અપહરણકારોએ તેમની માંગણીઓ રજૂ કરી, જેમાં 36 આતંકવાદીઓને મુક્ત કરવા, 200 મિલિયન ડોલર અને માર્યા ગયેલા આતંકવાદી સજ્જાદ અફઘાનીના મૃતદેહનો સમાવેશ થાય છે. લાંબી વાટાઘાટો પછી, ભારત સરકારે મુસાફરોની સુરક્ષા માટે મૌલાના મસૂદ અઝહર (જૈશ-એ-મોહમ્મદના સ્થાપક), અહેમદ ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગર સહિત 3 આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.