જમ્મુ કાશ્મીર: વિપક્ષે કરી 3 પૂર્વ મુખ્યમંત્રીને જલ્દી મુક્ત કરવાની માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Mar 2020 10:35 PM (IST)
વિપક્ષએ જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીને મુક્ત કરવાને લઇને કેંદ્ર સરકારને સંયુક્ત પ્રસ્તાવ મોકલ્યો છે.
નવી દિલ્હી: વિરોધ પક્ષોએ જમ્મૂ કાશ્મીના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને જલ્દી મુક્ત કરવાની માંગ કરી છે. વિપક્ષએ જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીને મુક્ત કરવાને લઇને કેંદ્ર સરકારને સંયુક્ત પ્રસ્તાવ મોકલ્યો છે. આઠ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મીડિયામાં સંયુક્ત નિવેદન જારી કરી કાશ્મીરમાં રાજકીય નજરબંધ નેતાઓને મુક્ત કરવાની માંગ કરી છે. જમ્મૂ કાશ્મીરમાં જેમને નજરબંધ રાખવામાં આવ્યા છે, તેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ છે. તેમને ગત વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા. વિપક્ષના નિવેદન અનુસાર, લોકશાહી મુલ્યો, મૌલિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓ પર સતત હુમલા વધી રહ્યા છે. એવામાં અસહમતિની અવાજને ન માત્ર દબાવામાં આવી રહ્યો છે, પરંતુ ગંભીર મુદ્દાઓને ઉઠાવનારને યોજનાબદ્ધ રીતે ચુપ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષ તરફથી મીડિયાને જે પત્ર આપવામાં આવ્યો છે જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા, સીપીઆઈએમના સીતારામ યેચૂરી, સીપીઆઈના ડી રાજા, આરજેડીના મનોજ કુમાર ઝા, પૂર્વ મંત્રી યશવંત સિન્હા, પૂર્વ મંત્રી અરૂણ શૌરીના નામ છે.