નવી દિલ્હીઃ રાજ્યસભા બાદ લોકસભાની કાર્યવાહીનો પણ વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. ખેડૂત વિરોધી બિલને લઈ રાજ્યસભા સાંસદોને એક સપ્તાહ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમના સમર્થનમાં વિરોધ પક્ષે લોકસભાનો બહિષ્કાર કર્યો છે.


કોંગ્રેસના અધિર રંજન ચૌધરી, એનસીપીના સુપ્રિયા સુલે સહિત વિપક્ષના નેતાઓએ લોકસભા સત્રનો બહિષ્કાર કર્યા બાદ સંસદમાં મીટિંગ કરી હતી. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું, ખેડૂતોના મુદ્દે અમારી પાર્ટી અને તમામ વિપક્ષ લોકસભા કાર્યવાહીનો બહિષ્કાર કરીએ છીએ.

આ પહેલા લોકસભામાં ખેડૂતો મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના કેટલાક સભ્યોના હંગામાના કારણે ગૃહની કાર્યવાહી આરંભ થયાના 15 મિનિટ બાદ આશરે એક કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.