Prakash Singh Badal Death: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. પ્રકાશ સિંહ બાદલ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલને સોમવારે એક ખાનગી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં પણ રાખવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો તેમના સ્વાસ્થ્યની નજીકથી દેખરેખ રાખી રહ્યા હતા. વરિષ્ઠ શિરોમણી અકાલી દળ (SAD) નેતાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


સોમવારે સાંજે જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં ખાનગી હોસ્પિટલે કહ્યું હતું કે, પ્રકાશ સિંહ બાદલ હજુ પણ આઈસીયુમાં તબીબોની નજીકથી દેખરેખ હેઠળ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો આગામી થોડા દિવસો સુધી વરિષ્ઠ SAD નેતાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થશે તો તેમને ખાનગી વોર્ડમાં મોકલી શકાય છે.


ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બાદલની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલને   શ્વાસ લેવામાં તકલીફને કારણે ગયા વર્ષે જૂનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોવિડ પછીની આરોગ્ય તપાસ માટે તેને ફેબ્રુઆરી 2022 માં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદલ ગયા વર્ષે જાન્યુઆરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.