Parliament Monsoon Season: સંસદમાં ચીન સાથે સરહદ વિવાદને લઈ હંગામાની શક્યતા, રાજનાથ સિંહ આપશે નિવેદન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2020 10:02 AM (IST)
સંસદમાં ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે.
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. કોરોના કાળમાં થઈ રહેલા સત્રમાં આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારત-ચીન સરહદ વિવાદ પર લોકસભામાં નિવેદન આપશે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લા ઘણા સપ્તાહથી તણાવ છે. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવામાં ફાયરિંગ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં જૂન મહિનામાં થયેલા સંઘર્ષમાં 20 ભારતીય જવાનો શહિદ થયા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. રાજનાથ હમણાં જ મોસ્કોમાં ચીન રક્ષામંત્રી વેઈ ફેંગહેની સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસ અગાઉ વિદેશ મંત્રી જયશંકરે પણ ચીનમાં તેમના સમકક્ષ વાંગ યી કે સાથે મુલાકાત થઈ હતી. તેમાં પાંચ મુદ્દા પર સહમતિ પણ બની હતી. ચોમાસુ સત્રમાં વિપક્ષ ભારત-ચીન મુદ્દે, કોવીડની સ્થિતિ, આર્થિક વિકાસ દર અને બેરોજગારી જેવા મુદ્દા સાથે સરકાર પર પ્રહાર કરવાના મુડમાં છે.