Teacher Recruitment Scam: કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સાથી અર્પિતા મુખર્જીને આજે કોલકાતાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. EDએ કોર્ટને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી નાણાકીય લેવડ-દેવડ માટે ઓછામાં ઓછી 12 શેલ કંપનીઓ ચલાવતી હતી.


EDએ કહ્યું કે પાર્થ ચેટર્જીને ભુવનેશ્વર જવા માટે મનાવવા ખૂબ મુશ્કેલ હતું. ED અનુસાર, પાર્થ ચેટર્જીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે હું નહીં જાઉં. બહુ મુશ્કેલીથી અમે તેને કોઈક રીતે ભુવનેશ્વર લઈ ગયા. EDએ કોર્ટ સમક્ષ પાર્થ ચેટરજીનો AIIMS ભુવનેશ્વર મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો, જે દર્શાવે છે કે તે ફિટ અને સ્થિર છે. EDએ કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં કંઈ ખોટું નથી. સરકારી હોસ્પિટલમાં રહેવા માટે તે પોતાના પદનો લાભ ઉઠાવી રહ્યા હતા. તે ફિટ છે અને તેની અટકાયત કરી શકાય છે.


EDએ કહ્યું કે મંત્રી સહકાર નથી આપી રહ્યા


EDએ એમ પણ કહ્યું કે પાર્થ ચેટર્જીએ તેની ધરપકડના મેમો પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. EDએ કહ્યું કે મંત્રી સહકાર નથી આપતા. તેઓ EDના કાગળો પર સહી કરતા નથી અને કાગળ પણ ફાડી નાખે છે. EDને પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની સંયુક્ત સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળ્યા છે. આ પ્રોપર્ટી પાર્થે 2012માં ખરીદી હતી. EDની પૂછપરછ દરમિયાન, અર્પિતાએ સ્વીકાર્યું કે રિકવર કરાયેલી રકમ પાર્થ ચેટરજીની છે. રિકવર કરાયેલા નાણાંને અર્પિતા મુખર્જી સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરવાની યોજના હતી. હાલની રોકડ રકમ એક-બે દિવસમાં તેના ઘરની બહાર ક્યાંક રાખવાનો પ્લાન હતો.


પાર્થ ચેટરજીના વકીલે શું કહ્યું?


કોર્ટમાં પાર્થ ચેટરજીના વકીલે કહ્યું કે હાઈકોર્ટે પાર્થ ચેટરજીની ધરપકડ કરવા માટે કોઈ નિર્દેશ આપ્યા નથી. તેઓ સમન્સ વિના તેમના ઘરે ગયા અને 30 કલાક સુધી તેમની પૂછપરછ કરતા રહ્યા. ED દ્વારા 22 જુલાઈના રોજ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતા. હવે તેની ત્રણ દિવસની કસ્ટડી પૂરી થઈ ગઈ છે.


શિક્ષક ભરતી કૌભાંડમાં EDની ધરપકડ


તમને જણાવી દઈએ કે EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. અર્પિતા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સહયોગી હતી. કથિત શિક્ષક ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી હતી. EDને શંકા છે કે અર્પિતા મુખર્જીના ઘરેથી જપ્ત કરાયેલી રોકડ કથિત શિક્ષક કૌભાંડની આવક છે.