નવી દિલ્હી: બિહારમાં પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બિહારી સ્ટાઈલમાં ગમછો લહેરાવ્યો હતો.
ફૂલોની વર્ષા અને "મોદી, મોદી" ના નારા વચ્ચે પ્રધાનમંત્રી મોદી સ્ટેજ પર પહોંચ્યા હતા. અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહે તેમનું પુષ્પગુચ્છોથી સ્વાગત કર્યું હતું. બિહારમાં એનડીએની પ્રચંડ જીત પર ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલી રહી છે.
બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ઉજવણી કરતા ભાજપના કાર્યકરો અને નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો. પીએમ મોદીએ બિહારી શૈલીમાં ગમછો લહેરાવીને બિહારના લોકોને એનડીએની જીતનો સંદેશ આપ્યો.
બિહારના પરિણામો અંગે PM મોદીએ કહ્યું, "આ પ્રચંડ વિજય, આ અટૂત વિશ્વાસ... 'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા'. અમે NDAના લોકો, લોકોના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોને ખુશ કરતા રહીએ છીએ. આજે બિહારે બતાવ્યું છે કે ફરી એકવાર NDA સરકાર હશે."
લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓનો વિજય
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજની જીત ફક્ત NDA ની નથી, તે લોકશાહીમાં ભારતના લોકશાહીમાં વિશ્વાસ રાખનારાઓનો વિજય છે. આ ચૂંટણીએ ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદાનમાં વધારો એ ચૂંટણી પંચ માટે એક મોટી સિદ્ધિ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એ જ બિહાર છે જ્યાં માઓવાદી આતંક પ્રવર્તતો હતો, જ્યાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યે મતદાન સમાપ્ત થઈ જતુ હતું. પરંતુ આ વખતે લોકોએ કોઈ પણ ભય વિના સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. તમે જાણો છો કે જંગલ રાજ દરમિયાન બિહારમાં શું થતું હતું. મતપેટીઓ ખુલ્લેઆમ લૂંટાઈ જતી હતી. આજે, તે જ બિહારમાં રેકોર્ડ મતદાન નોંધાઈ રહ્યું છે.