Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં છે. તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પરત ફર્યા હતા. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે. ડોભાલ એરપોર્ટ પર તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે. પીએમ મોદી ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમ મોદી હવે ટૂંક સમયમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજશે.
મોડી રાત્રે જેદ્દાહથી રવાના થયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા દ્વારા તેમના સન્માનમાં આયોજિત ડિનરમાં પણ હાજરી આપી ન હતી અને રાત્રે જ ભારત જવા રવાના થઈ ગયા હતા. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સુરક્ષા બાબતો પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે.
પીએમ મોદીએ પહલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, 'હું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે તેમને બક્ષવામાં આવશે નહીં.' તેમનો આતંકવાદી એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.