નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધની લડાઇમાં વડાપ્રધાન મોદીએ દેશના ટોચના ખેલાડીઓ સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ સચિન, સૌરવ, કોહલી સહિત દેશના દિગ્ગજ ખેલાડીઓ પાસે સહયોગ માંગ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની પૂર્વ ઓપનિંગ જોડી સૌરવ અને સચિને વડાપ્રધાનને વિશ્વાસ અપાવ્યો છે કે કોરોના વિરુદ્ધ જીત અપાવવામાં તે પુરતો સહયોગ આપશે.



એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સચિન તેડુંલકરે કહ્યું કે, ટીમ ઇન્ડિયા માટે હું ચાર નંબર પર બેટિંગ કરતો હતો અને વડાપ્રધાન મોદીએ પણ મને નંબર ચાર પર વાત કરવાની તક આપી હતી. જ્યારે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વડાપ્રધાન મોદીની તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરવાને લઇને ખુશી વ્યક્ત કરી હતી. ગાંગુલીએ વડાપ્રધાનને કહ્યુ કે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં આખા દેશમાં પોલીસ સારુ કામ કરી રહી છે અને આપણે આ લડાઇમાં જીત હાંસલ કરીશું.


સૂત્રોના મતે સચિન તેડુંલકરે વડાપ્રધાનને કહ્યુ કે, લોકડાઉન બાદ પણ લોકોએ કોરોનાને ગંભીરતાથી લેવો જોઇએ. આ સાથે વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી ખેલાડીઓના કોરોના વિરુદ્ધની લડાઇમાં આપેલા સહયોગની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદીએ જે ખેલાડીઓ સાથે વાતચીત કરી તેમાં ક્રિકેટરો સિવાય શટલર પીવી સિંધુ, હિમા દાસ, શૂટર મનુ ભાકર, વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂ, શૂટર અભિષેક વર્મા વગેરે સામેલ હતા.