PM Modi Cabinet Decisions: મોદી કેબિનેટ વિસ્તરણના એક દિવસ બાદ પોતાની નવી ટીમ સાથે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે વર્ચુઅલી બેઠક કરી હતી. આ બેઠકમાં કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સહિત ઘણા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેંદ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું ખેડૂતોને મંડીના માધ્યમથી એક લાખ કરોડ રુપિયા આપવામાં આવશે. 


અનુરાગ ઠાકુરે કહ્યુ કે પાછલા વર્ષે 15 મેએ એગ્રીકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી, તેને એપીએમસીને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ફંડમાં નાણાકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠાકુરે કહ્યું કે, કોરોના સામે લડવા માટે 23123 કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી છે. 


કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, નાળિયેર સેક્ટરમાં સંશોધન કરવામાં આવશે. વિશ્વભરમાં નાળિયેરના કારોબારને વધારવા માટે ભાર આપવામાં આવશે. આ સાથે નાળિયેર બોર્ડમાં સીઈઓની નિમણૂક કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, APMC માર્કેટને મજબૂત કરવામાં આવસે. કૃષિ બજારોને વધુ સંસાધન આપવામાં આવશે. નરેન્દ્ર તોમરે કહ્યુ કે, સરકારના નિર્ણયથી કિસાનોની આવકમાં વધારો થશે. 


કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- મોદી સરકાર સતત કિસાનો માટે પગલા ભરતી આવી છે. હું આંદોલન કરનારા કિસાનોને કહેવા ઈચ્છુ છું કે વારંવાર કહેવામાં આવે છે કે નવા કૃષિ કાયદામાં એપીએમસી ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એપીએમસી ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. 


હેલ્થ ઇમરજન્સી પેકેજ માટે 23 હજાર કરોડ


સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 8 હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. 


પત્રકાર પરિષદ દરમિયાન સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યા હતા. આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવી અને તેમાં 30 મંત્રી સામેલ હતા. નવી કેબિનેટની ટીમ સાથે પ્રધાનમંત્રીની આ પ્રથમ બેઠક હતી.