PM Modi Manipur Visit: બે વર્ષ પહેલાં મણિપુરમાં થયેલી હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુરાચાંદપુરમાં વિસ્થાપિત લોકોને મળ્યા હતા. ચુરાચાંદપુર એ વિસ્તાર છે જ્યાં 2023 માં થયેલી હિંસામાં સૌથી વધુ અસર થઈ હતી અને 260 લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદ છતાં, પીએમ મોદીએ ઇમ્ફાલ એરપોર્ટથી 65 કિમી દૂર પીસ ગ્રાઉન્ડ ખાતે રાહત શિબિરોમાં હાજર વૃદ્ધો અને બાળકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પણ તેમની સાથે હાજર હતા.

હિંસાના કારણો અને માંગણીઓ

ચુરાચાંદપુરમાં મુખ્યત્વે કુકી-જો સમુદાય વસે છે. મેઇતેઈ લોકોના અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગ સામે એક આદિવાસી જૂથે રેલી કાઢી ત્યારે હિંસા શરૂ થઈ હતી. કુકી-જો જૂથે પહાડી જિલ્લાઓ માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી છે, જ્યારે ઇમ્ફાલ ખીણમાં મેઇતેઈ લોકો બહુમતી ધરાવે છે.

વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ ચુરાચાંદપુરમાં 14 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેનો કુલ ખર્ચ રૂ. 7,300 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં ડ્રેનેજ સિસ્ટમ, મહિલા છાત્રાલયો, શાળાઓ અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

હિંસાની અસર અને વર્તમાન પરિસ્થિતિ

3 મે, 2023 ના રોજ, મણિપુરમાં મેઇતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 60000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવું પડ્યું અને 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

પીએમ મોદીનો આગામી પ્રવાસ - ઇમ્ફાલ

વડાપ્રધાન મોદીનો આગામી પ્રવાસ ઇમ્ફાલનો છે, જ્યાં તેઓ હિંસાથી વિસ્થાપિત લોકોને મળશે. ઇમ્ફાલમાં હજારો કુકી લોકો રાહત શિબિરોમાં રહે છે. આ ઉપરાંત, વડા પ્રધાન 1,200 કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કાંગલા કિલ્લા ખાતે એક સભાને સંબોધિત કરશે. મણિપુરના મુખ્ય સચિવ પુનિત ગોયલે કહ્યું, 'મણિપુર માત્ર એક સરહદી રાજ્ય નથી પરંતુ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને ભારતની વિવિધતાનું ગૌરવશાળી રક્ષક છે.’

કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો

વડાપ્રધાનની મુલાકાતની આકરી ટીકા પણ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર લાંબા સમયથી સળગી રહ્યું છે અને હવે પીએમ મોદીની મુલાકાત કોઈ મોટી વાત નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેને રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ મુલાકાત શાંતિ અને સૌહાર્દ માટે નથી પણ તમાશા માટે છે.