જમ્મુ કાશ્મીર: પહેલગામ આતંકવાદી હુમલા પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ચિનાબનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ચિનાબ પુલનું પણ નિરીક્ષણ કર્યું અને તેને બનાવનારા કામદારો સાથે વાત કરી હતી. તે જ ટ્રેક પર બનેલા અંજી પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દેશનો પહેલો રેલ્વે પુલ છે જે કેબલ સ્ટેઇડ ટેકનોલોજી પર બનેલો છે.
આ ઐતિહાસિક પુલ ફક્ત કાશ્મીર ખીણને સમગ્ર ભારત સાથે જોડશે નહીં, પરંતુ આ ક્ષેત્રમાં વેપાર, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરમાં 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ રેલ બ્રિજ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિરંગો લહેરાવ્યો હતો.
આ પુલ ચિનાબ નદી પર બનેલો છે અને તેને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ માનવામાં આવે છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચિનાબ પુલની ઊંચાઈ 359 મીટર (લગભગ 1,178 ફૂટ) છે, જે એફિલ ટાવર કરતા પણ ઊંચી છે. સ્ટીલ અને કોંક્રિટથી બનેલો આ પુલ માત્ર એન્જિનિયરિંગની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી, પરંતુ કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે રેલ દ્વારા જોડવાની દિશામાં એક ઐતિહાસિક પગલું પણ છે. ઉદ્ઘાટન પહેલાં, પીએમ મોદીએ ચેનાબ રેલ પુલનું નિરીક્ષણ કર્યું અને બાંધકામ કાર્યમાં સામેલ ઇજનેરો અને કામદારો સાથે વાતચીત કરી હતી. તેમણે આ અભૂતપૂર્વ એન્જિનિયરિંગ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓ વિશે પૂછપરછ કરી.
ચિનાબ પુલ ભૂકંપ અને ભારે પવનનો સામનો કરવા સક્ષમ છે
આ 1,315 મીટર લાંબો પુલ ભૂકંપ અને ભારે પવનનો સામનો કરવા સક્ષમ છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે રૂટનો એક ભાગ છે અને તેના કાર્યરત થવાથી જમ્મુથી કાશ્મીર ખીણ સુધીના રેલ જોડાણમાં મોટો ફેરફાર આવશે.