નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોરોનાના કેસો વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે એવાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. મોદીએ કોરોનાના કેસો રોકવા માટે જરૂર પડે તો એક-બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની આ રાજ્યોને છૂટ આપી છે. આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને પંજાબનો સમાવેશ થાય છે.


મોદીએ આ બેઠકમાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરેલા પ્રયાસોને વખાણ્યા હતા. મોદીએ તેમને કહ્યું કે, એક કે બે દિવસનું લોકડાઉન લાદવાનો નિર્ણય લેવો કે નહીં એ તેમણે નક્કી કરવાનું છે. આ રીતે , એક કે બે દિવસનું લોકડાઉન લાદવાથી કોરોનાને નાથવામાં કેટલી અસરકારકતા હાંસલિ કરી શકાશે તેનો નિર્ણય પણ આ રાજ્યોએ કરવો જોઈએ.

આ રાજ્યોમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હવે મોદીએ પણ આ સલાહ આપતાં આ સાત રાજ્યોમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લદાય એવી અટકળો ચાલી રહી છે. હદજુ સુધી આ સાત પૈકી એક પણ રાજ્યે સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરી નથી પણ કેટલાંક રાજ્યો મોદીની સલાહને અનુસરીને સપ્તાહમાં બે દિવસના લોકડાઉનનો વિકલ્પ વિચારી રહ્યા છે. સત્તાવાર રીતે આ સાત રાજ્યોમાં કોરોનાની ચેઈન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન લદાશે એવી વાતોને સમર્થન પણ નથી મળતું પણ એકાદ-બે દિવસમાં કોઈ મોટી જાહેરાતની શક્યતા નકારી શકાતી નથી.

આ સાત રાજ્યોમાં કોરોનાની સ્થિતી વધુ ને નધુ ગંભીર બની રહી છે એ હકીકત છે. આ સાત રાજ્યોમાં જ દેશના કુલ કોરોના કેસના 66 ટકા કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યુમાંથી 77 ટકા મોત પણ આ સાત રાજ્યોમાં જ થયાં છે તેથી મોદીએ આ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાનો નિર્ણય લીધો છે.

મોદી સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે, હવે દેશમાં ફરી લોકડાઉન નહી લદાય પણ આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતે લોકડાઉ લાદવાનો નિર્ણય લઈ શકે છે.