PM Modi Odisha Rally: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના નબરંગપુરમાંથી ઇન્ડિયા ગઠબંધન પર મોટો હુમલો કર્યો. પીએમ મોદીએ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે EDના દરોડામાં મળી આવેલી રોકડનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જનસભામાં હાજર લોકોને કહ્યું, જ્યારે તમે અહીંથી ઘરે જાવ તો ટીવી જોજો. પડોશી ઝારખંડમાં નોટોના પહાડ જોવા મળી રહ્યાં છે. મોદી લોકોની ચોરીનો માલ પકડી રહ્યાં છે. તેથી જ આ લોકો (ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ) મોદીને અપશબ્દો બોલી રહ્યાં છે.


પીએમ મોદીએ પૂછ્યું, આ લોકોની ગાળાગાળી ખાધા પછી પણ મારે આ કામ કરવું જોઈએ કે નહીં ? તમારો એક એક પૈસો મારે સાચવવો જોઈએ કે નહીં? હું કોઈને એક પાઇ પણ ખાવા નહીં દઉં. જે ખાશે તે જેલમાં જઇને ખાવાનું ખાશે. એટલે જ મોદીએ જનધન એકાઉન્ટ, આધાર અને મોબાઈલની એવી ત્રિપુટી બનાવી કે લોકોના પૈસાની લૂંટ બંધ થઈ ગઈ.


વડાપ્રધાને કહ્યું, 40 વર્ષ પહેલા, એક વડાપ્રધાન ઓડિશા આવ્યા હતા, તેમને કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલુ છુ, ગરીબ સુધી ફક્ત 15 પૈસા પહોંચે છે, એટલે કે 10માંથી 85 પૈસા પંજો લૂંટી લેતો હતો. તમે આ ગરીબ માતાના દીકરાને મોકો આપ્યો, પછી મેં કહ્યું કે હું એક રૂપિયો મોકલીશ અને કોઈને એક પૈસો પણ ખાવા નહીં દઉં, અને જે ખાશે તે જેલની રોટલીઓ ખાશે.


છત્તીસગઢમાં આદિવાસી મુખ્યમંત્રીનો કર્યો ઉલ્લેખ 
પીએમ મોદીએ કહ્યું, છત્તીસગઢ તમારા પડોશમાં છે, ત્યાં 15 વર્ષ સુધી ભાજપની સરકાર હતી, તાજેતરમાં રાજ્યની જનતાએ ફરીથી ભાજપને પ્રચંડ બહુમતીથી જીત અપાવી. આજે છત્તીસગઢની સરકાર આદિવાસી પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ભાજપ છત્તીસગઢને તૈયાર કરી રહી છે.


બીજેડી પર સાધ્યુ નિશાન 
PMએ કહ્યું, BJD 25 વર્ષમાં તમારી સમસ્યાઓ ઓછી નથી કરી શક્યું. હવે એકવાર ભાજપને તક આપો અને પછી જુઓ, પાંચ વર્ષમાં અમે ઓડિશાને નંબર વન બનાવીશું. ભાજપ તમારી તમામ સમસ્યાઓનું સમાધાન કરશે. ભાજપ માટે તમારું કલ્યાણ સર્વોપરી છે.


ઝારખંડમાં ઇડીએ કરી મોટી કાર્યવાહી 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન EDને 20 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આ રોકડ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરેથી મળી આવી હતી. એટલું જ નહીં, નોકર સંજીવ લાલના ઘરેથી અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDના દરોડામાં સંજીવ લાલના નોકરના ઘરેથી ચલણી નોટોના ઢગલા મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે.