PM Narendra Modi Slam Congress : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના અજમેર જિલ્લામાં પહોંચ્યા હતાં છે. અહીંથી તેઓ રાજસ્થાનના પુષ્કરના બ્રહ્મા મંદિરે પણ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ભગવાન બ્રહ્માનું આ એકમાત્ર મંદિર છે. ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પીએમ મોદી અનેક શહેરોમાં રેલીઓ યોજીને પોતાના કામ ગણાવ્યા હતાં. સાથો સાથ તેમણે કોંગ્રેસ અને ગાંધી પરિવારને આડેહાથ લીધો હતો. 


ભાજપ સરકારના 9 વર્ષ પુરા થવા પર મોદી સરકારની સિદ્ધીઓ જાહેર કરવાની યોજના બનાવવામાં આવી છે. પીએમ મોદીએ રાજસ્થાનમાં તેમની રેલીઓની શરૂઆત પુષ્કરથી કરી છે. અહીં તેમણે 15 મિનિટ સુધી પૂજા કરી હતી. 


અજમેરમાં રેલી દરમિયાન રાજસ્થાન ભાજપના વડા સીપી જોશીએ પીએમ મોદીનું પાઘડી પહેરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન દેવી અહિલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ પછી પીએમ મોદીએ પોતાના 9 વર્ષના કામો ગણાવતા વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા.


પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે સૌકોઈ 2014 પહેલા દેશની સ્થિતિથી વાકેફ છો. પહેલા મોટા શહેરોમાં દરરોજ હુમલા થતા હતા. સ્ત્રીઓ પર ઘણા અત્યાચારો થયા. વડાપ્રધાન ઉપર પણ એક સુપરપાવર હતી. અગાઉના નિર્ણયો જ નહોતા લેવામાં આવતા અને નીતિઓ જ જાણે તળિયાઝાટક થઈ જતી હતી.


એક મતે કેટલું પરિવર્તન કરી બતાવ્યું?


પીએમ મોદીએ કહ્યું હતું કે, 2014માં જનતાના એક વોટથી વિકાસ નક્કી થયો. તેનું જ પરિણામ છે કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આજે વિશ્વના જાણીતા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આજે ભારત 'અતિ ગરીબી' નાબૂદ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પરિવર્તન એક વોટથી આવ્યું છે.


ગેરંટી આપવાની કોંગ્રેસની જૂની આદત


કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું યથાવત રાખતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 50 વર્ષ પહેલા કોંગ્રેસે આ દેશમાંથી ગરીબી દૂર કરવાની ગેરંટી આપી હતી. જે ગરીબો સાથે કોંગ્રેસનો સૌથી મોટો વિશ્વાસઘાત હતો.


NDA સરકારને 9 વર્ષ પૂરા થયા


પીએમ મોદીએ અજમેરની રેલીમાં કહ્યું  હતું કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના પણ 9 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારના આ 9 વર્ષ દેશવાસીઓની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે.