PM Modi reaction cp radhakrishnan: ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા બન્યા છે. તેમણે વિપક્ષી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને આ મહત્વપૂર્ણ પદ હાંસલ કર્યું છે.
ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.પી. રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા છે. મંગળવારે (૯ સપ્ટેમ્બર, ૨૦૨૫) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને પીએમ મોદીએ જણાવ્યું કે, "તિરુ સી.પી. રાધાકૃષ્ણન જીને ૨૦૨૫ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા બદલ હાર્દિક અભિનંદન. તેમનું જીવન હંમેશા સમાજની સેવા, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યું છે."
વડાપ્રધાન મોદીએ વધુમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્તમ ઉપરાષ્ટ્રપતિ સાબિત થશે, જે આપણા બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવશે અને સંસદીય પ્રવચનને વધુ સમૃદ્ધ બનાવશે."
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અને મત ગણતરી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025 નું પરિણામ જાહેર થતાં જ સી.પી. રાધાકૃષ્ણન દેશના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી એ પ્રેસ કોન્ફરન્સમાં પરિણામોની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે કુલ 767 સભ્યોએ મતદાન કર્યું હતું, જે 98.2% મતદાન દર્શાવે છે. આમાંથી, 752 મત માન્ય ગણવામાં આવ્યા, જ્યારે 15 મત અમાન્ય રહ્યા. સી.પી. રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા, જ્યારે ઇન્ડી ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને 300 મત મળ્યા. રાધાકૃષ્ણનને પ્રથમ પસંદગીમાં જ જીતવા માટે જરૂરી મત મળતા, તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યપાલ તરીકેની કારકિર્દી અને સામાજિક સેવા
વર્ષ 2023 માં, મોદી સરકારે તેમને ઝારખંડના રાજ્યપાલ બનાવ્યા. આ પદ પર આવ્યા પછી, તેમણે પોતાની સામાજિક સેવાઓનો વ્યાપ વધાર્યો. તેમણે માત્ર 4 મહિનામાં ઝારખંડના તમામ 24 જિલ્લાઓની મુલાકાત લીધી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બાદમાં, તેમને તેલંગાણા, પુડુચેરી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યાં તેમનો સમાજ સેવાનો અંદાજ ચાલુ રહ્યો.