નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી આજે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ 19ની સ્થિતિ પર ચર્ચા કરી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને કેરલનો સમાવેશ થાય છે. 


આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘આપમએ હાલમાં એક એવા વળાંક પર છીએ જ્યાં ત્રીજી લહેરની આશંકા સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે જે પણ ચિંતાનો વિષય છે.


તમામ છ રાજ્યોના મુખ્યમંત્રીઓને પીએમ મોદીએ કહ્યું, ‘વિતેલા સપ્તાહે અંદાજે 40 ટકા નવા કોરોના કેસ તમારા રાજ્યો (તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ)માંથી આવ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.’


હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર એકઠી થતી ભીડ પર ફરી પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે અનલોક બાદ સાર્વજનિક સ્થળો પર જે રીતે ભીડ એકઠી થઈ રહી છે તે ચિંતાજનક છે. ભીડને અટકાવવા માટે સતર્ક, સજાગ અને વધુ કડક થવુ પડશે. એટલુ જ નહી ત્રીજી લહેરની આશંકા પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર દરવાજાની સામે જ ઉભી છે. યુરોપ અને પશ્ચિમના દેશોમાં વધતા કેસ આપણા માટે ચેતવણીરૂપ છે. બાળકોને પણ સંક્રમણથી બચાવવા માટે આપણે સંપૂર્ણ તૈયારી પહેલેથી જ કરવી પડશે.


પર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી ચૂક્યા છે બેઠક


આ  એ રાજ્યો છે, જ્યાં કોરોનાના કેસોની ગતિ અન્ય રાજ્યોની સરખામણીમાં હજુ પણ ઘટી નથી રહી છે. આ પહેલા પીએમ મોદીએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.


દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500 1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38949 નવા કેસ સામે આવ્યા છે અને 542 લોકના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 41806 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40026 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 1619 એક્ટિવ કેસ ઘટ્યા છે.