નવી દિલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધનવ કરવાના છે. મોદીએ પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આજે છ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશો આપીશું. આપ બધાં ચોક્કસ જોડાઓ.


મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. મોદી 8 મુખ્ય મુદ્દા પૈકી કોઈ એક મુદ્દા પર બોલે તેવી શક્યતા છે.

એક અટકળ એવી છે કે, મોદી કોરોનાની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરશે. હાલમાં કૃષિ કાયદા સામે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તે અંગે મોદી કશુંક કહે તેવી પણ શક્યતા છે. આ સિવાય સીએએ, છોકરીઓના લગ્નની ઉંમરમાં વધારો કરીને 21 વર્ષ કરવી, તહેવારો દરમિયાન લોકોને કોરોનાનો ફેલોવા ના થાય તે માટે સાવચેતી રાખવાની સલાહ, ભારત-ચીન સરહદી વિવાદ અંગે પણ મોદી બોલી શકે છે.

એક અટકળ એવી છે કે, મોદી નવા આર્થિક પેકેજની જાહેરાત કરશે. આ સિવાય એવી અટકળ પણ છે કે, હવે મોદી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું એલાન કરીને દેશને 1 નવેમ્બરથી ટોટલ અનલોક કરવાની જાહેરાત કરશે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધુ સમય માટે ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત પણ મોદી કરી શકે છે.