મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે (Coronavirus) કેર વર્તાવ્યો છે.  ત્યારે સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે મહારાષ્ટ્ર સરકારે (Maharastra Govt) પુણેમાં સાત દિવસનું આંશિક લોકડાઉન (Lockdown) લગાવી દીધું છે. આ લોકડાઉનને લઈ ગાઈડલાન પણ જાહેર કરી છે. આવશ્યક સેવાઓને લોકડાઉનમાંથી બહાર રાખવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર બાર, હોટલ, રેસ્ટોરેન્ટ આગામી સાત દિવસ સુધી બંધ રહેશે. જો કે, હોમ ડિલિવરીની સુવિધાની છૂટ આપવામાં આવી છે.  


ગાઈડલાઈન અનુસાર, લગ્ન અને અંતિમ સંસ્કારને છોડીને તમામ પ્રકારના કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. ગાઈડલાઈન અનુસાર લગ્નમાં મહત્તમ 20 લોકો અને અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઈ શકશે. સરકારનો આ આદેશ આવતીકાલ (3 એપ્રિલ)થી લાગુ થશે. આ વાતની જાણકારી પુણે ડિવિઝનલ કમિશ્નરે આપી છે. 


મહારાષ્ટ્રમાં નોંધાયા કોરોનાના સૌથી વધુ કેસ 


મહારાષ્ટ્ર (Maharastra)માં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. રાજધાની મુંબઇ (Mumbai)માં ગુરુવારે 8646 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. નાગપુર જિલ્લામાં ગુરુવારે 24 કલાકમાં 3,630 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોના મૃત્યુ થયા છે. નાગપુરમાં અત્યાર સુધીમાં 2,29,668 કેસ નોંધાયા છે અને 5.158ના મોત થયા છે. નાગપુર જિલ્લામાં કુલ 39,973કેસ એક્ટિવ છે.


દેશમાં આજે કોરોના વાયરસના 81,466 કેસ નોંધાયા 


 દેશમાં આજે કોરોનાના 81 હજાર 466 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 23 લાખ 3 હજાર 131 પર પહોંચી ગઈ છે.  આંકડા પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા કેસ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના મોત સંક્રમણના કારણે થયા હતા, ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખ 63 હજાર 396 થઈ ગઈ છે. આ અગાઉ 6 ડિસેમ્બરે 24 કલાકમાં  સંક્રમણથી 482 મોત નોંધાયા હતા.