ચંડિગઢ: નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પંજાબ વિધાનસભામા નાગરિકતા કાયદા વિરોધનો પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે નાગરિકતા સંશોધન કાયદો ગેરબંધારણીય છે. નાગરિકતા સંશોધન કાયદા વિરોધનો પ્રસ્તાવ પંજાબ સરકાર લઈને આવી હતી.


પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પણ આ કાયદાનો વિરોધ કર્યો છે. પંજાબમા સત્તાધારી પાર્ટી કોંગ્રેસે વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનો પ્રસ્તાવ મુક્યો હતો. કોંગ્રેસે માંગ કરી છે કે આ કાયદો રદ કરવામા આવે. રાજય મંત્રી બ્રહ્મ મોહિન્દ્રા વિધાનસભામાં બે દિવસીય વિશેષ સત્ર દરમ્યાન આ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કર્યો હતો. મોહિદ્રાએ કહ્યું કે સંસદ દ્વારા બનાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમા આક્રોશ છે અને તેનો વિરોધ ચાલુ છે. પંજાબમા આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થયું છે જે શાંતિપૂર્ણ રહ્યું છે.

પંજાબ વિધાનસભામા સરકારે આ પ્રસ્તાવને મંજુર કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો ગેરબંધારણીય છે. ભારત ધર્મનિરપેક્ષતાની આંટીઘુટીમા હંમેશા મજબુત રહ્યું છે. તેને અલગ થલગ કરવાનો પ્રયાસ કરવામા આવશે તો દેશની જનતાની સાથે સાથે કોંગ્રેસે પણ તેનો વિરોધ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને શુક્રવારે દેશના 11 ગેર ભાજપ શાસિત રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમા સમર્થન માંગ્યું છે. વિજયને પત્રમાં ઈચ્છા જાહેર કરી કે કેરલ વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો છે. તેવી જ રીતે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આમ કરે. તેમણે દિલ્હી,મધ્ય પ્રદેશ, રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પંજાબ,પોંડેચરી અને પશ્ચિમ બંગાળના સીએમને પત્ર લખીને લોકતંત્ર અને દેશની ધર્મનિરપેક્ષતાને બચાવવાની અપીલ કરી છે.