Bhagwant Mann Meets PM Modi: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માને  કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે પંજાબને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવામાં આવશે.


ભગવંત માન અને વડાપ્રધાન કાર્યાલયે બેઠકની તસવીર શેર કરી છે. માને લખ્યું, “આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો અને પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરી. હું પૂરી આશા રાખું છું કે પંજાબના સળગતા મુદ્દા અંગે કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સહકાર આપવામાં આવશે.”


 




 


પંજાબના સીએમ ભગવંત માન આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પંજાબની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભગવંત માને કેન્દ્ર સરકાર પાસેથી એક લાખ કરોડ રૂપિયાના પેકેજની માંગ કરી છે. આ સાથે ભગવંત માને પીએમ મોદીને કહ્યું કે તેમને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારના સહયોગની જરૂર છે.


મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથે ભગવંત માનની આ પહેલી મુલાકાત છે. ભગવંત માને મંગળવારે પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો હતો. ત્યારબાદ PMO  તરફથી માહિતી આપવામાં આવી હતી કે ભગવંત માન ગુરુવારે બપોરે 1 વાગ્યે પીએમ મોદીને મળશે. ભગવંત માન સંસદ ભવન પહોંચ્યા બાદ પીએમ મોદીને મળ્યા હતા.માન સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પણ મળશે.


આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહના ગામ ખટકર કલાન ખાતે હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.  ત્યરાબાદ  વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 117માંથી 92 બેઠકો જીતી છે.