નવી દિલ્હી: સોમવારથી દેશમાં ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. તેને લઈને ડોમેસ્ટિક વિમાન મુસાફરી માટે યૂપી, મહારાષ્ટ્ર,પંજાબ,હિમાચલ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટકે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ડોમેસ્ટિક ફ્લાઈટથી આ રાજ્યોમાં જતા મુસાફરોએ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. કર્ણાટકમાં સાત દિવસ તો બાકીના રાજ્યોમાં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનનો નિયમ છે.
યૂપી સરકારે બનાવ્યા આ નિયમ
ઉત્તરપ્રદેશની સરકારે ફ્લાઈટથી રાજ્યમાં આવનારા મુસાફરો માટે નિયમ બનાવ્યા છે. જે મુજબ મુસાફર વિમાનથી યૂપી પહોંચી પ્રદેશમાં જ રહેવાનો હોય તો તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જો કોઈ પાસે હોમ ક્વોરન્ટાઈનની વ્યવસ્થા નહી હોય તો તેણે સરકારી સ્તર પર કરવામાં આવેલી વ્યવસ્થામાં રાખવામાં આવશે.


ઉત્તરપ્રદેશમાં હવાઈ મુસાફરીના આવનારા તમામ મુસાફરોએ એરપોર્ટથી નિકળતા પહેલા વેબસાઈટ https://reg.upcovid.in પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશનમાં કોઈ સમસ્યા હોય તો 1800-180-514 નંબર પર સહાયતા મેળવી શકો છો.

પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં 14 દિવસનું ક્વોરન્ટીન
પંજાબ સરકારે શરત રાખી છે કે જે વિમાનથી આવશે તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જમ્મુ કાશ્મીરમાં પણ બે અઠવાડીયાની શરત છે. મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું વિમાન સેવા માત્ર તેમના માટે હશે જેને યોગ્ય જરૂરીયાત છે. દરેક માટે મુંબઈમાં લેન્ડિંગ નથી.

લોકડાઉન વચ્ચે કાલથી સમગ્ર દેશમાં વિમાન સેવાઓ શરૂ થઈ રહી છે. આવું દેશની જરૂરીયાતને જોતા કરવામાં આવી રહ્યું છે. પરંતુ વિમાન સેવાઓને લઈને વિવાદ ઉભો થયો છે. ઘણા રાજ્યોએ વિમાન સેવાઓને સીધી રીતે નહી પરંતુ આડકતરી રીતે વિરોધ કર્યો છે.