Raghav Chadha joins BJP: આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાવું રાઘવ ચઢ્ઢાને ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અન્ય 6 રાજ્યસભા સાંસદો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ દિલ્હીના રાજકારણમાં તો મોટો ભૂકંપ આવ્યો છે, પણ સાથે જ ચઢ્ઢાની લોકપ્રિયતાને બહુ મોટો ઝટકો લાગ્યો છે. યુવાનોમાં ખાસ લોકપ્રિય એવા રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ ગુમાવ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો તેમના વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પીએમ મોદી વિરુદ્ધની જૂની પોસ્ટ ડિલીટ કરવા મુદ્દે તેમની ભારે ટીકા થઈ રહી છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ફોલોઅર્સ એ કોઈપણ નેતાની લોકપ્રિયતાનું મોટું માપદંડ હોય છે. રાઘવનો ભાજપમાં જવાનો નિર્ણય યુવાનો અને ખાસ કરીને 'જનરેશન ઝેડ' (Gen-Z) ને જરાય પસંદ આવ્યો નથી. શુક્રવાર સુધી ઇન્સ્ટાગ્રામ પર તેમના 14.6 મિલિયન ફોલોઅર્સ હતા, જે લોકોના અનફોલો કરવાને કારણે શનિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ઘટીને 13.5 મિલિયન થઈ ગયા. આ અંગે NCP (SP) ના પ્રવક્તા અનિશ ગાવંડેએ પણ કટાક્ષ કરતા કહ્યું કે, "ઇન્ટરનેટ તમને રાતોરાત હીરો બનાવી શકે છે, તો તે તમને ખતમ પણ કરી શકે છે."

Continues below advertisement
Continues below advertisement

લોકો કેમ રાઘવ ચઢ્ઢાને આટલા પસંદ કરતા હતા?

રાઘવ ચઢ્ઢાની યુવાનોમાં એક અલગ જ ઇમેજ હતી. તેઓ સંસદમાં એવા મુદ્દા ઉઠાવતા હતા જે સીધા સામાન્ય લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા હોય અને જેને મોટાભાગે રાજકારણમાં અવગણવામાં આવતા હોય. જેમ કે, એરપોર્ટ પર મળતા મોંઘા સમોસા, પિતૃત્વ રજા (Paternity Leave), ટ્રાફિકની સમસ્યા, ટેલિકોમ કંપનીઓની ડેટા લિમિટ અને ગીગ વર્કર્સનું (ડિલિવરી બોય) શોષણ.

થોડા સમય પહેલા જ ડિલિવરી પાર્ટનર્સની સમસ્યા સમજવા માટે તેઓ જાતે એક દિવસ માટે 'બ્લિંકિટ' ડિલિવરી બોય પણ બન્યા હતા. તેમના આ પ્રયાસોને લીધે જ સરકારે 10 મિનિટની ફરજિયાત ડિલિવરીનો નિયમ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ બધા કામોથી તેમની એક યુવા અને 'લોકનેતા' તરીકેની છબી મજબૂત બની હતી.

અલગ પાર્ટી બનાવવાની હતી માંગ

જ્યારે AAP દ્વારા તેમને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવાયા, ત્યારે તેમને જનતાનો ભારે સપોર્ટ મળ્યો હતો. ચાહકો સોશિયલ મીડિયા પર તેમને પોતાની અલગ 'Gen-Z પાર્ટી' બનાવવાની સલાહ આપી રહ્યા હતા અને ચેતવણી પણ આપી હતી કે જો તેઓ બીજી પાર્ટીમાં જશે તો નફરતનો સામનો કરવો પડશે. રાઘવે આ આઈડિયાને સારો પણ ગણાવ્યો હતો, પરંતુ અચાનક તેમણે ભાજપ પસંદ કરી લેતા ચાહકોનો મોહભંગ થયો છે.

જૂની પોસ્ટ્સ ડિલીટ કરી

હાલત એ છે કે સોશિયલ મીડિયા પર #UnfollowRaghavChadha જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. માઉન્ટ એલ્બ્રસ પર ઓક્સિજન વિના 24 કલાક વિતાવનાર જાણીતા પર્વતારોહક રોહતાશ ખિલેરી જેવા અનેક ઇન્ફ્લુએન્સર્સે તેમને અનફોલો કરી દીધા છે. લોકોએ એ પણ નોંધ્યું છે કે ચઢ્ઢાએ પોતાના એકાઉન્ટ પરથી પીએમ મોદી અને ભાજપની ટીકા કરતી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ મામલે AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ ટોણો મારતા કહ્યું કે, "હવે રાઘવની પ્રોફાઇલ પર 'મોદી' નામની માત્ર 2 જ પોસ્ટ બચી છે, અને તે બંને વડાપ્રધાનના વખાણ કરતી પોસ્ટ છે."