નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી કોરોના મહામારી અને તેનાથી થતા મોતને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર કોરોના મહામારી અને તેનાથી થનારા મોતના આંકડાઓને લઇને ખોટું બોલી રહી છે. ગાંધીએ કહ્યું કે કોવિડ-19 હોય કે, જીડીપી કે પછી ચીની ઘૂસણખોરી ભાજપે જૂઠને સંસ્થાગત રૂપ આપી દીધું છે.




રાહુલ ગાંધીએ કહ્યુ કે, ભાજપ દ્ધારા ફેલાવવામાં આવેલો ભ્રમ જલદી તૂટશે અને ભારતને તેની કિંમત ચૂકવવી પડશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ભાજપે જૂઠને સંસ્થાગત રૂપ આપી દીધું છે. કોવિડ-19ની ટેસ્ટની સંખ્યા ઓછી કરીને અને તેનાથી થતા મોતના આંકડાઓ ઓછા બતાવીને. જીડીપીની ગણતરી માટે નવી રીત અપનાવી છે. ચીની ઘૂસણખોરી પર મીડિયાને ડરાવીને. આ ભ્રમ જલદી તૂટી જશે અને  ભારતે તેની કિંમત ચૂકાવવી પડશે.

નોંધનીય છે કે અમેરિકા અને બ્રાઝિલ બાદ હવે દરરોજ સૌથી વધુ કેસ મામલે ભારતમાં નોંધાઇ રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 10 લાખને પાર પહોંચી ગઇ છે. અત્યાર સુધી 26,816  લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે છ લાખ 77 હજાર 422 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38902 નવા કેસ નોંધાયા છે અને 543 મોત થયા છે.