કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ફરી એકવાર ભાજપ પર "મત ચોરી"નો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે મત ચોરી મારફતે ક્યારેક બેઠકો ચોરવામાં આવી તો ક્યારેક આખીને આખી સરકાર જ હડપ કરી લીધી હતી. તેમણે આંકડા ટાંકીને દાવો કર્યો કે લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી લગભગ છમાંથી એક સાંસદ મત ચોરીથી જીત્યા છે.
રાહુલે કટાક્ષ કરતા સવાલ કર્યો હતો કે શું આ સાંસદોને ભાજપની પોતાની ભાષામાં "ઘુસણખોરો" કહેવા જોઈએ. તેમણે મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "ક્યારેક મત ચોરી મારફતે સીટો ચોરવામાં આવે છે તો ક્યારેક ક્યારેક આખી સરકાર. લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી લગભગ છમાંથી એક સાંસદ મત ચોરી મારફતે જીત્યા છે. તેમને ઓળખવા મુશ્કેલ નથી - શું તેમને ભાજપની ભાષામાં "ઘુસણખોર" કહેવા જોઈએ?"
હરિયાણાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાંની આખી સરકાર "ઘુસણખોર" છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "જેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે, જે મતદાર યાદીઓ અને ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરે છે - તેઓ પોતે "રિમોટ કંટ્રોલ્ડ" છે. તેમનો વાસ્તવિક ડર સત્ય છે, કારણ કે જો નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય તો તેઓ આજે 140ની નજીક પણ જીતી શકતા નથી."
અગાઉ પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પછી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર હુમલો કર્યો હતો. આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધીએ ફરી એકવાર કથિત મત ચોરી અંગે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચની મદદથી બંને રાજ્યોમાં ચૂંટણીની ચોરી કરી. આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી હતી.
