rahul gandhi cjp protest: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કાઢવામાં આવેલી સંસદ કૂચમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણ અને હિંસા જોવા મળી છે. આ અથડામણમાં અનેક પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 50 થી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હિંસક માહોલ વચ્ચે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ એન્ટ્રી મારી છે. તેમણે પોલીસ કાર્યવાહી સામે આકરો રોષ ઠાલવતા પોલીસ અધિકારીઓને બંધારણની યાદ અપાવી છે અને કહ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ એ દેશના લોકોનો મૂળભૂત અધિકાર છે. બીજી તરફ, CJP ના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની 3 મોટી માંગણીઓ રજૂ કરી છે.
"જવાબદારી ચોક્કસપણે નક્કી કરવામાં આવશે" - રાહુલ ગાંધી
વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જ અને બળપ્રયોગ અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક આકરી પોસ્ટ લખી છે. સરકાર અને પોલીસ પ્રશાસનને ચેતવણી આપતા તેમણે લખ્યું, "શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો એ દરેકનો અવિભાજ્ય અને મૂળભૂત અધિકાર છે. નિર્દોષ ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ખોટા આદેશોનું આંધળું પાલન કરનારા દરેક પોલીસ અધિકારી અને સરકારી કર્મચારીએ આ વાત બરાબર યાદ રાખવી જોઈએ કે બંધારણ જ તમારો સાચો માલિક છે. સત્તા કાયમ રહેતી નથી, અને જ્યારે સમય આવશે ત્યારે જવાબદારી ચોક્કસપણે નક્કી કરવામાં આવશે."
પથ્થરમારામાં 50 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ
ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે સંસદ કૂચ દરમિયાન હિંસા ભડકતા દેખાવકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 50 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘાયલોમાં 10 થી વધુ IPS અધિકારીઓ અને દિલ્હી તથા આંદામાન-નિકોબાર પોલીસ સેવાના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે અનેક જગ્યાએ બળપ્રયોગ કરવો પડ્યો હતો, લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. હોસ્પિટલોમાં હજુ પણ ઘણા પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી હોવાથી ઘાયલોનો આંકડો હજુ વધી શકે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
CJP ના પ્રતિનિધિઓ જે.પી. નડ્ડાને મળ્યા, મૂકી 3 માંગણીઓ
આ તમામ હોબાળા અને અફરાતફરી વચ્ચે CJP પ્રદર્શનકારીઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવા પહોંચ્યું હતું. આ મુલાકાત બાદ જે.પી. નડ્ડાએ તેમને વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી હતી. જોકે, CJP ના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન સમેટાશે નહીં.
CJP એ સરકાર સમક્ષ આ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:
દેશના શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે.
સોનમ વાંગચુકને તાકીદે મુક્ત કરવામાં આવે અને તેમની અવરજવર પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે.
NEET પેપર લીક કાંડને કારણે હતાશામાં આવીને આત્મહત્યા કરનારા તમામ વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
જે.પી. નડ્ડાનું શું કહેવું છે?
જોકે, સરકાર તરફથી આ 3 માંગણીઓ સ્વીકારવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ મુલાકાત વિશે માહિતી આપતા કહ્યું, "આજે સવારે પહેલીવાર આ વિરોધીઓએ સરકાર સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી અને પ્રસ્તાવ મૂક્યો હતો. અમારી બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. તેમના પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર મૌખિક ચર્ચા થઈ, ત્યારબાદ સાંજે 4 વાગ્યાની આસપાસ તેમણે મને પોતાનું લેખિત આવેદનપત્ર (મેમોરેન્ડમ) પણ આપ્યું છે. મેં તમામ દેખાવકારોને વિનંતી કરી છે કે તેઓ હવે પોતાનો આ વિરોધ ખતમ કરે અને સ્થિતિને સામાન્ય બનાવવામાં પ્રશાસનની મદદ કરે."
