CBSE OSM Controversy: દેશની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અવાજ ઉઠાવનાર યુવાનોની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ ખોલીને પ્રશંસા કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) ના ટેન્ડરમાં થયેલી મોટી ગેરરીતિઓનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી વ્હિસલબ્લોઅર સાર્થક સિદ્ધાંત અને નિસર્ગ અધિકારી સાથે રાહુલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાહુલે માત્ર આ યુવાનોની હિંમતને બિરદાવી જ નહિ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે યુવાનો માત્ર રીલ્સ જ બનાવ્યા કરે અને સત્તાને કોઈ સવાલ ન પૂછે.
મોટી એજન્સીઓ જે ન કરી શકી તે આ યુવાનોએ કરી બતાવ્યું
રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાર્થક સિદ્ધાંત સાથેની પોતાની મુલાકાતનો વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ આ 18 વર્ષના યુવાનને હિંમત અને મક્કમતાનું સાચું પ્રતીક ગણાવ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જે કામ દેશની મોટી-મોટી તપાસ એજન્સીઓ ન કરી શકી, તે આ બે યુવાનોએ કરી બતાવ્યું છે. સાર્થક અને નિસર્ગે CBSE અને ખાનગી કંપની COEMPT વચ્ચેની સાંઠગાંઠને આખા દેશ સામે ખુલ્લી પાડી દીધી છે. પીએમ મોદી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું, "મોદીજી ઈચ્છે છે કે આપણા દેશના યુવાનો બસ રીલ્સ બનાવતા રહે, પકોડા તળતા રહે, પણ કોઈ સવાલ ન કરે અને આંખો બંધ રાખે. પરંતુ આ બાળકોએ સવાલ પૂછવાની હિંમત કરી અને જાતે જ તેના જવાબો પણ શોધી કાઢ્યા છે."
શું છે આખો CBSE OSM વિવાદ?
આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે CBSE એ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓના પેપર ચેક કરવાની જૂની પદ્ધતિને બદલીને ડિજિટલ 'ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ' (OSM) લાગુ કરી. આ નવી સિસ્ટમમાં મોટો છબરડો ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ જોયું કે બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાયેલી તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી કોપી તેમના પોતાના અક્ષરો સાથે મેચ થતી નહોતી. આનાથી પેપરમાં મોટી હેરાફેરી થઈ હોવાની શંકા ઊભી થઈ. આ સિસ્ટમનો સૌથી પહેલો અને સખત વિરોધ કરનાર સાર્થક સિદ્ધાંતે હાલમાં જ એક સંસદીય પેનલ સમક્ષ હાજર રહીને OSM ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા પણ રજૂ કર્યા હતા.
આ પણ વાંચોઃ CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
કોંગ્રેસની શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
વિદ્યાર્થીઓ અને વિપક્ષના દબાણને કારણે આ મામલાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. વિવાદ વધતા સરકારે તાબડતોબ CBSE ના 2 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી નાખી છે. જોકે, કોંગ્રેસે સરકારના આ પગલાને માત્ર 'આંખમાં ધૂળ નાખવા' અને પાપ પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ આકરા શબ્દોમાં માંગ કરી છે કે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવામાં આવે અને આ આખા કૌભાંડની કોઈ સ્વતંત્ર ન્યાયિક એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
