Rahul Gandhi Detained PM Residence: રાજધાની દિલ્હીમાં આજે ભારે રાજકીય ગરમાવો અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને NEET વિવાદ મામલે વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવા નીકળેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને પણ વિરોધ સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા છે. યુવાનોના ભવિષ્યને લઈને રસ્તા પર ઉતરેલા વિપક્ષ અને સરકાર વચ્ચે ઉગ્ર ખેંચતાણ જોવા મળી. સરકારે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ પહેલા માત્ર સંસદમાં ચર્ચાની માંગ કરી હતી, પરંતુ જ્યારે સરકારે તે સ્વીકારી લીધી તો તેઓ તરત પોતાની વાત પરથી ફરી ગયા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની નવી માંગ પર અડી ગયા.
પોલીસ અને રાહુલ ગાંધી વચ્ચે શું થઈ વાતચીત?
વડાપ્રધાન આવાસની બહાર જમા થયેલા નેતાઓને વિખેરવા માટે નવી દિલ્હી જિલ્લાના ડીસીપીએ પહેલા તો રાહુલ ગાંધીને સમજાવવાનો પ્રયાસ કર્યો. ડીસીપીએ નમ્રતાપૂર્વક કહ્યું કે, "કૃપા કરીને અમને સહકાર આપો અને આ વિસ્તાર ખાલી કરી દો." આના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે, "હું તો પૂરો સહકાર આપી જ રહ્યો છું. તમે જ અહીં હાજર લોકોને ચાલ્યા જવા માટે કહો." આ સાંભળીને ડીસીપીએ ત્યાં એકઠા થયેલા લોકોને વિખેરાઈ જવા માટે માત્ર એક જ વાર માઈક પર સૂચના આપી અને તરત જ તમામને અટકાયતમાં લેવાનો આદેશ આપી દીધો.
પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપે: રાહુલ ગાંધી
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા જણાવ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માંગવા માટે તેમના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો કે એક દિવસ પહેલા જ સરકારે વિદ્યાર્થીઓ પર ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો છે, પરંતુ સરકાર ન તો તેની જવાબદારી લેવા તૈયાર છે કે ન તો સંસદમાં આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા માંગે છે. દેશના યુવાનોનું ભવિષ્ય રોળવા બદલ પીએમ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ પણ તેમણે ઉઠાવી. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ-પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પવન ખેડા, પંજાબ કોંગ્રેસ પ્રમુખ રાજા વડિંગ, દીપેન્દ્ર હુડ્ડા અને ડી.કે. શિવકુમાર જેવા અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીની નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે.
સરકારે વાતચીત માટે મંત્રીઓને મોકલ્યા હતા
બીજી તરફ, આ વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતાઓને મળવા ગયેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આખી વાતચીતનો ચિતાર મીડિયા સામે મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "જ્યારે અમને ખબર પડી કે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અકબર રોડ પાસે અચાનક તેમના સમર્થકો સાથે ધરણા પર બેઠા છે, ત્યારે સરકારે વિપક્ષી નેતાઓના સન્માન ખાતર મને અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને તેમની સાથે વાતચીત કરવા મોકલ્યા હતા. અમે રાહુલ ગાંધીને વિનંતી કરી કે આ જગ્યા વિરોધ પ્રદર્શન માટે નથી અને તેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ રહી છે. ત્યારે રાહુલે એવી શરત મૂકી હતી કે જો સરકાર સંસદમાં NEET અને વિદ્યાર્થીઓના આંદોલન અંગેના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા સંમત થાય, તો તેઓ તરત જ પોતાનો વિરોધ સમેટી લેશે."
માંગ સ્વીકાર્યા પછી રાહુલે વાત ફેરવી નાખી: જિતેન્દ્ર સિંહ
જિતેન્દ્ર સિંહે વધુમાં ખુલાસો કરતા જણાવ્યું કે, "સરકારના ટોચના નેતૃત્વ પાસેથી મંજૂરી લીધા બાદ અમે રાહુલ ગાંધીને ખાતરી આપી કે તેમની માંગ પૂરી કરવામાં આવી છે અને સરકાર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ જાણ કર્યા પછી રાહુલે કહ્યું કે તેઓ આટલાથી સમાધાન નહીં કરે! તેમણે અચાનક કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી દીધી. જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે તેમણે અગાઉ માત્ર ચર્ચાની જ માંગ કરી હતી, ત્યારે તેમણે બેધડક કહી દીધું કે હવે મારી માંગણીઓ બદલાઈ ગઈ છે."
જ્યારે ગૃહ સચિવે સમજાવવાનો પ્રયાસ કર્યો કે રસ્તા પર આ રીતે બેસવું અયોગ્ય છે, ત્યારે રાહુલે કહ્યું કે "અહીં બેસવું એ મારી પસંદગી છે." કેન્દ્રીય મંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રાહુલ ગાંધી જેવા મોટા ગજાના નેતા અને વિપક્ષના નેતા માટે પોતાના જ શબ્દો પરથી આટલી જલ્દી ફરી જવું એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને લોકશાહીના ધોરણોની વિરુદ્ધ છે. સરકાર NEET મુદ્દે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી આ મહત્વપૂર્ણ મુદ્દે સંસદમાં ઔપચારિક ચર્ચા માટે કોઈ નોટિસ સુદ્ધાં રજૂ કરી નથી.
