કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. સોમવારે સવારે જમ્મુ એરપોર્ટ પર ભાજપના નેતાઓએ રાજનાથ સિંહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના અને અન્ય બીજેપી નેતાઓ હાજર રહ્યા હતા. અહીંથી રક્ષા મંત્રી જમ્મુ યુનિવર્સિટી જવા રવાના થયા.






રાજનાથ સિંહે જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવર સિંહ ઓડિટોરિયમમાં ડિફેન્સ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) હંમેશા આપણો ભાગ રહ્યો છે. ત્યાંના લોકો પણ ભારતમાં જોડાવા માંગે છે. ભારતની સંસદમાં પીઓકેને લઈને સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. પીઓકેમાં પાકિસ્તાન સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ કારણે ભવિષ્યમાં પીઓકેમાંથી જ માંગ ઉભી થશે કે તેમને ભારત દેશમાં સામેલ કરવામાં આવે.


તેમણે કહ્યું હતું કે  'જમ્મુ-કાશ્મીરનો મોટો હિસ્સો પાકિસ્તાનના નિયંત્રણમાં છે. ત્યાંના લોકો જોઈ રહ્યા છે કે આ બાજુ લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે. જ્યારે તે તરફ પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પર અત્યાચાર થાય છે ત્યારે અમને પીડા થાય છે. માત્ર PoK પર ગેરકાયદેસર કબજો લેવાથી પાકિસ્તાનની કોઈ સ્થિતિ સારી બની શકતી નથી. ભારતની સંસદમાં પીઓકેને લઈને સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે તે ફક્ત ભારતનો જ એક ભાગ છે. સંસદમાં હવે આ હેતુના એક નહીં પરંતુ ઓછામાં ઓછા અનેક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે.


સિસ્ટમ બદલવાથી ભ્રષ્ટાચાર ખતમ થશે


તેમણે વધુમાં કહ્યું કે, 'હું એવો દાવો નથી કરતો કે અમે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખ્યો છે. કોઈ કરી શકે નહીં. તેને માત્ર ભાષણો આપીને ઘટાડી શકાતું નથી, તેને સિસ્ટમમાં ફેરફાર કરીને જ ઘટાડી શકાય છે અને PMએ આ પ્રક્રિયા શરૂ કરી છે.


વિશ્વમાં ભારતનું કદ અનેકગણું વધ્યું


સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે મોદી સરકારના શાસનમાં છેલ્લા 9 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ અનેકગણું વધ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ સરકારની મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે.


તેમણે કહ્યું હતું કે જ્યારથી ભારત આઝાદ થયું છે ત્યારથી ભારત વિરોધી ઘણી શક્તિઓ સતત ભારતની અંદર અસ્થિરતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનની ધરતી પરથી સતત મોટા પાયે નાપાક પ્રયાસો થઈ રહ્યા છે. યુપીએ સરકારે આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી કરી ન હતી પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી શરૂ કરી હતી. પહેલીવાર માત્ર દેશને જ નહીં પરંતુ દુનિયાને ખબર પડી કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો અર્થ શું છે. અમે આતંકવાદનું ફંડિંગ બંધ કર્યું છે.