દેશને અત્યાર સુધીમાં દસ વંદે ભારત ટ્રેન મળી છે. તે કુલ લક્ષ્ય (200 લાઇટવેટ વંદે ભારત)થી દૂર છે. જો કે દેશમાં વંદે ભારત ટ્રેનો પર સતત કામ ચાલી રહ્યું છે. ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદન અને જાળવણી પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવી છે. આમાં, રશિયન ફર્મ ટ્રાન્સમેશહોલ્ડિંગ (TMH) અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) વચ્ચેના સંયુક્ત સાહસે 200 હળવા વજનની વંદે ભારત ટ્રેનોના ઉત્પાદન અને જાળવણી માટે સૌથી ઓછી બોલી લગાવી છે.


એજન્સીના સમાચાર અનુસાર, કન્સોર્ટિયમે લગભગ 58,000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જેમાં એક ટ્રેન સેટ બનાવવાની કિંમત 120 કરોડ રૂપિયા છે. જે ICF-ચેન્નઈ દ્વારા બનાવવામાં આવેલી છેલ્લી વંદે ભારત ટ્રેનની કિંમત પ્રતિ સેટ 128 કરોડ રૂપિયા કરતાં ઓછી છે. બીજી સૌથી નીચી બિડ ટીટાગઢ-ભેલની હતી, જેણે એક વંદે ભારતના ઉત્પાદનની કિંમત રૂ. 139.8 કરોડ દર્શાવી હતી.


આ સ્થિતિમાં TMH-RVNL એ BHEL-Titagarh વેગન કરતાં ઓછી બોલી લગાવી હતી. જે દર્શાવે છે કે રશિયન કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. આના પરથી એવું માની શકાય છે કે આગામી વંદે ભારત ટ્રેનો હવે રશિયન ફર્મ ટ્રાન્સમાશોલ્ડિંગ (TMH) અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા બનાવવામાં આવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ બે કંપનીઓ ઉપરાંત, ફ્રેન્ચ રેલવે કંપની અલ્સટૉમ, સ્વિસ રેલવે રોલિંગ સ્ટોક ઉત્પાદક સ્ટેડલર રેલ અને હૈદરાબાદ સ્થિત મીડિયા સર્વો ડ્રાઇવ્સ કન્સોર્ટિયમ મેધા-સ્ટેડલર, BEML અને સિમેન્સ પણ વંદે ભારત પ્રોજેક્ટ માટે બિડિંગમાં સામેલ હતા. આ કોન્ટ્રાક્ટ રૂ. 58,000 કરોડનો છે. જેમાં 200 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન અને આગામી 35 વર્ષ સુધી તેની જાળવણીનો સમાવેશ થાય છે.


નોંધનીય છે કે વંદે ભારત એક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે, જેમાં 16 સ્વ-સંચાલિત કોચનો સમાવેશ થાય છે, જે એક અલગ લોકોમોટિવની જરૂરિયાતને દૂર કરે છે. વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર સહિતની તમામ સુવિધાઓ છે. નવી સુવિધાઓથી સજ્જ, નેક્સ્ટ જનરેશન વંદે ભારત 2.0 ટ્રેનમાં કવચ (ટ્રેન કોલિઝન અવોઇડન્સ સિસ્ટમ)ની સુવિધા છે.


આ ટ્રેનોમાં વધુ સારી બેઠક, એર કન્ડીશનીંગમાં એન્ટી-બેક્ટેરિયલ સિસ્ટમ અને માત્ર 140 સેકન્ડમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા છે. 2021-22ના બજેટમાં કેન્દ્ર સરકારે 2024-25ના અંત સુધીમાં ભારતમાં 400 વંદે ભારત ટ્રેનો બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું.