મજૂરોના પલાયન સંબંધિત PILને SCએ ફગાવી, કહ્યુ- લાખો વિચાર છે, અમે બધા ન સાંભળી શકીએ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Apr 2020 06:48 PM (IST)
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી.
નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે થયેલા મજૂરોના પલાયન સંબંધિત અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓ વકીલ હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ સહિત અનેક વકીલોએ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામ વિચાર સાંભળી શકીએ નહી અને આ માટે સરકારને બાધ્ય કરી શકતા નથી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. દલીલ હતી કે શેલ્ટ હોમમાં પુરતી સ્વસ્છતા અને સુવિધાઓ મળી રહી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે વીડિયો કોન્ફરન્સ મારફતે અરજીની સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે, કોર્ટ સરકારને લોકોના તમામ આઇડિયા સાંભળવા માટે બાધ્ય કરી શકે નહી કારણ કે લોકો પાસે લાખો પ્રકારના આઇડિયા હોઇ શકે છે. આ અરજીઓ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે, પીઆઇલની દુકાનોને બંધ કરવી જોઇએ. જેણે વાસ્તવમાં મદદ કરવી હોય છે તે જમીન પર કામ કરે છે. એસી રૂમમાં બેસી અને જનહિત અરજીઓ દાખલ કરવાથી કોઇ ફાયદો થતો નથી. જો કોર્ટ પ્રવાસી મજૂરો પર વિસ્તૃત રિપોર્ટ ઇચ્છે છે તો અમે દાખલ કરીશું. તેમણે કહ્યુ કે, મજૂરોના પલાયન મામલામાં કોર્ટ તરફથી વિશેષ નિર્દેશોની કોઇ જરૂર નથી. રાજ્ય સરકારો અગાઉથી જ જરૂરિયાત અનુસાર, ભવન, સ્કૂલ અને હોટલમાં વ્યવસ્થા કરી રહી છે. જો જરૂર પડશે તો અમે વધુ વ્યવસ્થા કરીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો મામલે સારુ કામ કરી રહી છે.