Section 498A live in relationship Supreme Court: ભારતની સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ખૂબ જ ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓને પતિ અને સાસરિયાઓના ત્રાસથી બચાવતો કાયદો એટલે કે 'કલમ 498A' હવે માત્ર કાયદેસરના લગ્ન પૂરતો જ મર્યાદિત નથી રહ્યો. આ કાયદા હેઠળ મળતું રક્ષણ હવે એવા લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship) માં રહેતા કપલ્સને પણ લાગુ પડશે, જેઓ લાંબા સમયથી એકબીજા સાથે "લગ્ન જેવા સંબંધ" માં રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે લિવ-ઇનમાં રહેતી મહિલાઓને પણ કાનૂની રીતે પત્ની જેવા જ સમાન અધિકારો અને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
'લગ્ન જેવા સંબંધ' માટે કઈ શરતો જરૂરી?
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સમાજમાં કાયદેસરના લગ્ન જ સંબંધોનું એકમાત્ર માપદંડ નથી. આજના સમયમાં 'લગ્ન જેવા સંબંધો' ને પણ કાનૂની માન્યતા મળેલી છે. જોકે, કલમ 498A નો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે. જેમ કે:
બંને પાર્ટનર પુખ્ત વયના (Adult) હોવા જોઈએ.
બંને પોતાની મરજીથી એટલે કે પરસ્પર સંમતિથી એકબીજા સાથે રહેતા હોવા જોઈએ.
તેમના સંબંધમાં ભવિષ્યમાં એકબીજા સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇરાદો હોવો એ એક આવશ્યક ભાગ છે.
ચુકાદો માત્ર કલમ 498A પૂરતો જ સીમિત
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાયદાની આ નવી જોગવાઈ અને સુરક્ષા માત્ર ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 498A હેઠળ થતી કાનૂની કાર્યવાહી પૂરતી જ મર્યાદિત રહેશે. આ ચુકાદાની અસર કાયદાના અન્ય કોઈપણ વિભાગ પર લાગુ પડશે નહીં. એટલે કે, આ નિયમ ફક્ત ઘરેલું હિંસા કે ત્રાસના કેસોને જ લાગુ પડશે.
આ પણ વાંચોઃ માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
બદલાતો સમાજ અને સ્ત્રી પર પુરાવાની જવાબદારી
આજના બદલાતા સામાજિક માહોલ વિશે વાત કરતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, "લગ્ન જેવા લિવ-ઇન સંબંધો" હવે એક સામાન્ય વાસ્તવિકતા બની ગયા છે. ખાસ કરીને શહેરી ભારતમાં આનું ચલણ ઘણું વધ્યું છે. જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા વિના જ કોઈ પુરુષ સાથે ઘર અને પરિવારની જેમ જ રહેતી હોય, તો તેને પણ એક પરણિત મહિલા જેટલી જ કાનૂની સુરક્ષા મળવી જોઈએ.
જોકે, કોર્ટે એ પણ ભારપૂર્વક કહ્યું કે આ બાબત સાબિત કરવાની જવાબદારી સ્ત્રી પર રહેશે કે તેમનો સંબંધ માત્ર કોઈ સામાન્ય પ્રેમ સંબંધ ન હતો, પરંતુ સાચા અર્થમાં એક "લગ્ન જેવો સંબંધ" હતો.
અત્યાચારની અસર બંને સ્થિતિમાં સમાન
અંતમાં કોર્ટે બહુ જ માર્મિક વાત કહી હતી કે, કોઈ સ્ત્રી પર થતી પજવણી કે અત્યાચાર એ વાત પર આધાર નથી રાખતો કે તે પરિણીત છે કે નહીં. જ્યારે કોઈપણ સંબંધમાં ત્રાસ કે ઉત્પીડન પ્રવેશે છે, ત્યારે તેની હાનિકારક અસરો હંમેશા વધુ તીવ્ર જ હોય છે. મહિલા પરિણીત હોય કે લિવ-ઇનમાં, તેની માનસિક અને શારીરિક પીડા સમાન જ રહે છે.
