નવી દિલ્હીઃ શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે શિવસેનાના મુખપૃષ્ઠ સામનામાં પોતાના એક લેખમાં પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે, જો લોકોની નોકરી જવા જેવી સમસ્યાનું સમાધાન નહીં આવે તો લોકો પીએમ મોદી પાસે રાજીનામું માગી શકે છે.


શિવસેના સાંસદ સંજય રાઉત ઘણીવખત પોતાની સાપ્તાહિક કોલમ ‘રોકટોક’માં વિચાર લોકો સામે રાખતા હોય છે. તેમણે પોતાના લેખમાં દાવો કર્યો છે કે, કોરોનાવાયરસ મહામારીને કારણે 10 કરોડ લોકોએ પોતાની આજીવિકા ગુમાવી છે. તેની સાથે જ તેમનું કહેવું છે કે, કંટનના આ સમયમાં 40 કરોડથી વધારે પરિવાર પ્રભાવિત થયા છે.

સંજય રાઉતનું કહેવું છે કે, કોરોના કાળમાં પગારદાર મધ્યમવર્ગના લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જ્યારે વેપાર અને ઉદ્યોગને અંદાજે ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમનું કહેવું છે કે, “લોકોની ધીરજની એક મર્યાદા હોય છે. તે માત્ર આશા અને આશ્વાસન પર જીવી ન શકે. ત્યાં સુધી કે પીએમ મોદી પણ સહમત હશે કે ભલે ભગવાન રામનો વનવાસ પૂરો થઈ ગયો હોય, પરંતુ હાલની સ્થિતિ મુશ્કેલ છે. કોઈપણ પોતાના જીવન વિષે આટલું અસુરક્ષિત અનુભવ નહીં કર્યો હોય.”

સંજય રાઉત કહે છે કે, “ઈઝરાયલમાં ચેપને ફેલાવો રોકવામાં નિષ્ફળ જવા પર ત્યાંના લોકો પીએમ બેન્જામિન નેતન્યાહૂ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેની સાથે જ ત્યાંના લોકો પોતાના પીએમની કોરોના વાયરસની મહામારી અને આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળતા પર તેમનું રાજીનામું માગી રહ્યા છે. આવનારા સમયમાં ભારત પણ આ વાતનું સાક્ષી બની શકે છે.”