મુંબઈઃ પાકિસ્તાની કલાકાર પર સલમાન ખાનના નિવેદનથી નારાજ શિવસેનાએ સલમાન ખાનને પાકિસ્તાન ચાલ્યા જવા કહ્યું છે. પક્ષના એક નેતાએ કહ્યું કે જો સલમાનને પાકિસ્તાન કલાકાર સાથે એટોલ જ પ્રેમ હોય તો તે પાકિસ્તાન ચાલ્યા જાય. મુંબઈમાં કામ કરતા પાકિસ્તાનના કલાકારોની તરફેણ કરતાં સલમાને કહ્યું હતું કે, કલાકારો પર પ્રતિબંધ લગાવવો તે આતંકવાદનું સમાધાન નથી.


પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવા વિશે પૂછવા પર સલમાને કહ્યું હતું કે, પાકિસ્તાની કલાકાર માત્ર કલાકાર છે, આતંકવાદી નથી. આતંકવાદ અને કલા બન્ને અલગ વિષય છે. આમ પણ તેઓ વીઝાસાથે આવ્યા છે અને સરકાર તેને વર્ક પરમિટ આપે છે. તેના પર પ્રતિક્રિયા આપતા શિવસેનાએ કહ્યું કે, સલમાન ખાનને પાઠ ભણાવવો જરૂરી છે. જો તેના પાકિસ્તાનના કલાકાર સાથે એટલો જ પ્રેમ હોયતો તે પણ પાકિસ્તાન શિફ્ટ થઈ જાય.

ઉરી હુમલા બાદ રાજ ઠાકરેના પક્ષ મનસેએ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં દેશ છોડવાનું કહ્યું તું. જેના પર બોલિવુડ પણ વહેંચાઈ ગયું છે. ફિલ્મ નિર્માતા સંગઠન ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશને એક પ્રસ્તાવ પસાર કરી ઉરી હુમલાના પરિણામ સ્વરૂપે પાકિસ્તાની કલાકારોને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ મોટાભાગના પાકિસ્તાની કલાકાર ભારત છોડીને ચાલ્યા ગયા છે.