નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે ઈટાલીથી પરત ફરેલા પોતાના પુત્રની કથિત રીતે જાણકારી છુપાવવા બદલ દક્ષિણ પશ્ચિમ રેલવેએ એક મહિલા અધિકારીને સસ્પેન્ડ કરી દીધાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અધિકારીઓને તેની જાણકારી મળતા તે મહિલા અધિકારીના પુત્રને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.


રેલવેના પ્રવક્તા ઈ વિજયાએ જણાવ્યું હતું કે, મહિલા અધિકારીએ ઓથોરીટીને પોતાનો પુત્ર ઈટાલીથી ભારત પરત આવ્યો હોવાની જાણકારી આપી નહોતી અને મુખ્ય બેંગલુરુ સ્ટેશનની નજીકના એક અતિથિગૃહમાં તેને રાખીને અન્ય લોકોના જીવને પણ જોખમમાં નાખ્યા છે. વિજયાએ જણાવ્યું કે, આ મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



મહિલાએ પોતાના પુત્રને કેએસઆર રેલવે સ્ટેશન પર સ્થિત ઓફિસર્સ રેસ્ટ હાઉસમાં 13 માર્ચ સુધી રોકાવાની વ્યવસ્થા કરી આપી હતી. યુવકની તબીયત બગડતા તેને મંગળવારે રાત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કોરોના ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ રેલેવેના રેસ્ટ હાઉસને બંધ રાખવમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. જેમાં 32 મૂળ વિદેશીઓ પણ સામેલ છે. દેશમાં અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. સરકાર સાવચેતીના તમામ પગાલાઓ ઉઠાવી રહી છે.