નવી દિલ્હી: મહિલા શોષણ તથા દુષ્કર્મ પીડિતાઓને વળતર આપવાની યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે બળાત્કાર મામલે વળતરની ઓછામાં ઓછી રકમ પાંચ લાખ રૂપિયા અને એસિડ એટેકવાળા કિસ્સામાં આ લઘુતમ રકમ સાત લાખ રૂપિયા આપવામાં આવે. તમામ રાજ્યને આ યોજના મોકલામાં આવશે. જેના બાદ તમામ રાજ્યએ તેનું પાલન કરવું પડશે.

વર્તમાનમાં દુષ્કર્મ પીડિતાઓને રાજ્ય સરકાર પોતાની રીતે વળતર આપે છે. કોઈ રાજ્યમાં આ રકમ 20 હજાર છે તો તે ક્યાંક 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટેના આ આદેશ બાદ પીડિતાઓને મળતા વળતર એકસમાન થઈ જશે. એવામાં તેમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં.

બળાત્કાર અને અકુદરતી સંબંધો મામલે ન્યૂનતમ ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે ગેંગરેપ કે મૃત્ય પામવાની સ્થિતિમાં યોજના અંતર્ગત પીડીત કે તેના પરિવારને લઘુત્તમ પાંચ લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. જ્યારે અધિકતમ રકમ 10 લાખ રૂપિયા રહેશે. શરીર પર કોઈ પણ ભાગમાં ઈજા પહોંચવી કે 80 ટકા તે અંગ કામ ન કરે તેવી હાલતમાં બે લાખ રૂપિયા સહાયતા તરીકે આપવામાં આવશે.

બળાત્કાર, ગેંગરેપ, અપ્રાકૃતિક સેક્સ અને એસિડ એટેક મામલે પીડિતાઓને વળતર આપવાની આ યોજના દરેક રાજ્યમાં લાગુ કરવામાં આવશે. પીડિતાની મોત પર તેના પરિવારને 10 લાખ રૂપિયા સહાય મળશે.