સુપ્રીમ કોર્ટે રસ્તાઓ પર રખડતા કુતરાઓના કરડવાથી થતા મૃત્યુના મામલાને ગંભીરતાથી લીધો છે અને કડક આદેશો આપ્યા છે. કોર્ટે રખડતા કુતરાઓને  શેલ્ટર હોમમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે અને જો કોઈ સંસ્થા તેમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીમાં રખડતા કૂતરાઓની સમસ્યાને અત્યંત ગંભીર ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે (11 ઓગસ્ટ, 2025) દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ સંસ્થાઓને નિર્દેશ આપ્યો કે શક્ય તેટલી વહેલી તકે તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને હટાવવાનું શરૂ કરો અને તેમને શેલ્ટર હોમમાં રાખો.

કુતરા કરડવાની ઘટનાઓનો સામનો કરવા માટે અનેક સૂચનાઓ આપતા કોર્ટે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા રખડતા કૂતરાઓને હટાવવામાં અધિકારીઓના કામમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે હાલમાં લગભગ 5,000 રખડતા કૂતરાઓ માટે શેલ્ટર હોમ  બનાવવા જોઈએ અને કુતરાઓના નસબંધી અને રસીકરણ માટે પુરતી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવા જોઈએ.

મીડિયા અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આ બાબતે તેમના મંતવ્યો પણ પૂછ્યા. એસ.જી. મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે રખડતા કુતરાઓને રાખવા માટે દિલ્હીમાં જ એક જગ્યા પસંદ કરવામાં આવી હતી, પરંતુ પ્રાણી અધિકાર કાર્યકરોએ સ્ટે ઓર્ડર લાવ્યો હતો, જેના કારણે આ યોજના બંધ કરવી પડી હતી. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, 'શું પ્રાણી અધિકાર કાર્યકરો હડકવાનો ભોગ બનેલા લોકોને પાછા લાવી શકે છે ? આપણે ખાતરી કરવી પડશે કે કોઈ પણ શેરીમાં રખડતા કૂતરાઓ ન દેખાય.'

બાળકોને કોઈપણ કિંમતે કુતરાઓથી બચાવવા પડશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રખડતા કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને રસ્તાઓ, વસાહતો અને જાહેર સ્થળોએ છોડવા જોઈએ નહીં. બેન્ચે કહ્યું, 'અમે વ્યાપક જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જારી કરી રહ્યા છીએ.' ઉપરાંત, બેન્ચે એમ પણ કહ્યું કે નાના બાળકોને કોઈપણ કિંમતે રખડતા કુતરાઓથી બચાવવા પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે આ પોતાના માટે નથી કરી રહ્યા, આ જાહેર હિત માટે છે, તેથી આમાં કોઈ પણ પ્રકારની લાગણીઓ સામેલ ન થવી જોઈએ અને આ મામલે શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ'. કોર્ટે કહ્યું કે બધા કુતરાઓને ઉપાડીને દૂરના વિસ્તારોમાં લઈ જવા જોઈએ.

હેલ્પલાઇન સ્થાપિત કરવાનો પણ નિર્દેશ

સુપ્રીમ કોર્ટે અધિકારીઓને એક અઠવાડિયાની અંદર એક હેલ્પલાઇન સ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપ્યો જેથી કુતરા કરડવાના તમામ કેસોની તાત્કાલિક જાણ થઈ શકે. 28 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કુતરા કરડવાથી હડકવા ફેલાવાના મીડિયા અહેવાલ પર સ્વતઃ નોંધ લીધી.