Tahawwur Rana: 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પાછળના કાવતરા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)તરફથી કેસની સુનાવણી માટે એડવોકેટ નરેન્દ્ર માનને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.

તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી સામેના કેસની સુનાવણી કરશે

આ નિમણૂક NIA કેસ નંબર RC-04/2009/NIA/DLI સાથે સંબંધિત છે જે પાકિસ્તાની મૂળના તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલી વિરુદ્ધ છે. આ બંન્ને પર 26/11 ના હુમલાનું કાવતરું ઘડવાના ગંભીર આરોપો છે. હવે, નરેન્દ્ર માન દિલ્હી સ્થિત NIA સ્પેશિયલ કોર્ટ અને સંબંધિત અપીલ કોર્ટમાં કેસની સુનાવણી કરશે.

ત્રણ વર્ષ સુધી અથવા ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી જવાબદારી

નરેન્દ્ર માનને આ જવાબદારી ત્રણ વર્ષ માટે સોંપવામાં આવી છે, જે આ નિમણૂકની સૂચનાના પ્રકાશનની તારીખથી લાગુ માનવામાં આવશે. જો તે પહેલાં ટ્રાયલ પૂર્ણ થાય છે, તો તેમની જવાબદારી ત્યાં જ સમાપ્ત થઈ જશે.

પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપ્યા બાદ ભારત લાવવામાં આવી રહ્યો છે. રાણાને ભારત લાવ્યા પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તેને કસ્ટડીમાં લેશે અને પૂછપરછ કરશે.

NIA એ 2009માં કેસ નોંધ્યો હતો

ભારત સરકારના આદેશ પર 11, નવેમ્બર, 2009ના રોજ NIA એ દિલ્હીમાં RC-૦4/2009/NIA/DLI કેસ નોંધ્યો હતો. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 121A, UAPA કાયદાની કલમ 18 અને સાર્ક કન્વેશન (આતંકવાદ નિવારણ) કાયદાની કલમ 6(2) હેઠળ નોંધવામાં આવ્યો હતો. આમાં ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.

આતંકવાદીઓને સમર્થન આપવાનો આરોપ

NIA અનુસાર, રાણા અને હેડલીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. બંને પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને ટેકો આપવાનો અને ભારતમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. મુંબઈ હુમલામાં 174થી વધુ લોકો માર્યા ગયા હતા. NIA એ બંનેના પ્રત્યાર્પણ માટે અમેરિકાને ઔપચારિક વિનંતી મોકલી હતી. પાકિસ્તાનને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો, જેનો હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી.

કોર્ટમાં ચાર્જશીટ દાખલ

NIA એ 24 ડિસેમ્બર, 2011ના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસમાં તમામ નવ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓ પર IPC ની અનેક કલમો (120B, 121, 121A, 302, 468, 471) અને UAPA કાયદાની કલમો (16, 18, 20) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

તહવ્વુર રાણા થોડા કલાકોમાં ભારતમાં આવશે.

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે અને તે થોડા કલાકોમાં ભારતીય ભૂમિ પર પહોંચશે. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે, જેના હેઠળ 26/11 હુમલામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારોને ન્યાય મળી શકે.