બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે (12 નવેમ્બર, 2025) એક પત્રકાર પરિષદમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ 18 મી તારીખે થશે. ભાજપે તેમના આ નિવેદનનો જવાબ આપ્યો છે. ભાજપ નેતા અજય આલોકે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ છે ડિલ્યૂજન.. જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિને 99 બેઠકો જીતવાનો ભ્રમ થઈ જાય છે, પોતાને મુખ્યમંત્રી બનાવી લે છે અને સરકાર પણ બનાવી લે છે.
અજય આલોકે કહ્યું, "18મી તારીખે તેમણે (તેજસ્વી યાદવ) શપથ લેવા જોઈએ અને શપથ લે કે તેમણે જીવનમાં આજ સુધી જે ચોરી કરી છે, જે ભૂલો કરી છે અથવા જેટલા પૈસા કમાયા છે તે બધુ પરત આપશે, અને તેઓ ફરી આવી ભૂલ નહીં કરે. જો તેઓ આ શપથ લે તો વધુ સારું રહેશે."
તેજસ્વી યાદવે શું કહ્યું ?
તેજસ્વી યાદવે રાઘોપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી છે. આ ચૂંટણીના પરિણામો 14 મી નવેમ્બરે આવવાના છે. આ પહેલા એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે બિહારમાં NDA સરકાર બનાવશે. આ અંગે તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "અમે પહેલાથી જ કહ્યું હતું કે પરિણામો 14 તારીખે જાહેર થશે અને શપથ ગ્રહણ સમારોહ 18 તારીખે યોજાશે. આ ચોક્કસપણે થવા જઈ રહ્યું છે... ભાજપ અને NDA ને પરસેવો વળી રહ્યો છે."
તેજસ્વી યાદવે કહ્યું, "તેઓ ગભરાટમાં છે અને ચિંતામાં છે. ગઈકાલે, મતદાન દરમિયાન લોકો લાંબી લાઈનોમાં ઉભા હતા. લોકો લાઈનમાં ઊભા હતા અને એક્ઝિટ પોલ બહાર આવ્યા જેનો અર્થ એ થયો કે મતદાન હજુ પૂરું થયું નથી. આવા સર્વેને લઈ અમને કોઈ ભ્રમ કે ગેરસમજ નથી.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો હવે સામે આવી ગયા છે. MATRIZE IANS ના એક્ઝિટ પોલ મુજબ, NDA રાજ્યમાં ફરીથી સરકાર બનાવવા માટે તૈયાર છે. NDA 147 થી 167 બેઠકો જીતવાની ધારણા છે. મહાગઠબંધનને 70 થી 100 બેઠકો જીતવાનો અંદાજ છે. આ એક્ઝિ પોલ મુજબ, નીતિશ કુમારની JDU રાજ્યના તમામ પક્ષોમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. RJD મહાગઠબંધનમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.