કેન્દ્ર સરકારે સોમવારે ખાનગી ન્યૂઝ ચેનલોને એક એડવાઈઝરી જાહેર કરીને કુદરતી આફતો અને મોટી દુર્ઘટનાઓના દ્રશ્યો દર્શાવતી વખતે તારીખ અને સમય દર્શાવવા જણાવ્યું હતું.


માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ટેલિવિઝન ચેનલો ઘણા દિવસો સુધી કુદરતી આફતો અને મોટા અકસ્માતોનું સતત કવરેજ આપે છે પરંતુ ઘટનાના દિવસના ફૂટેજ જ સતત પ્રસારિત કરતી રહે છે.


મંત્રાલયે દલીલ કરી હતી કે કુદરતી આફતો અથવા દુર્ઘટનાના ઘણા દિવસો પછી ટેલિવિઝન ચેનલો દ્વારા બતાવવામાં આવતા ફૂટેજ વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતા નથી જેના કારણે "દર્શકોમાં બિનજરૂરી ભ્રમ અને ગભરાટ" પેદા થાય છે. તેથી દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે તમામ ખાનગી ટીવી ચેનલોને સલાહ આપવામાં આવે છે કે કુદરતી આફતો અથવા મોટા અકસ્માતોના દ્રશ્યોના ફૂટેજ બતાવતી વખતે તેની ટોપ પર 'તારીખ અને સમય' દર્શાવવામાં આવવો જોઇએ.


માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે પરામર્શ કરીને આવી ઘટનાઓનું પ્રસારણ કરતી વખતે પ્રોગ્રામ કોડનું પાલન સુનિશ્ચિત કરવા માટે ખાનગી સમાચાર ચેનલો પર ભાર મૂકવામાં આવ્યો છે. વાયનાડ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના વ્યાપક કવરેજને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં અનેક લોકોના મોત થયા છે.


કેન્દ્ર સરકારે સોમવારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ રેગ્યુલેશન બિલ 2024 પાછું ખેંચી લીધું છે. બિલનો ડ્રાફ્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હિસ્સેદારોના સૂચનો અને પ્રતિસાદ માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ હવે વિગતવાર ચર્ચા બાદ સરકાર નવો ડ્રાફ્ટ બહાર પાડશે. સરકારે સૂચનો માટે સમયમર્યાદા લંબાવી છે.


મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, The News Broadcasters and Digital Associationનું દબાણ પણ ડ્રાફ્ટને પાછું ખેંચવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જૂના ડ્રાફ્ટ અનુસાર, સરકાર યુટ્યુબર્સ પર શિકંજો કસવાની તૈયારી કરી રહી હતી. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કહ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય ડ્રાફ્ટ બિલ પર હિતધારકો સાથે સતત પરામર્શ કરી રહ્યું છે. હાલમાં મંત્રાલયે બિલની તૈયારી અંગે લોકોને ટિપ્પણીઓ અને સૂચનો આપવા માટે 15 ઓક્ટોબર, 2024 સુધીનો વધારાનો સમય આપ્યો છે. વિગતવાર પરામર્શ બાદ નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.