Train Accident in Vizianagaram: આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં રવિવારે (29 ઓક્ટોબર) બે પેસેન્જર ટ્રેનો અથડાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અધિકારીઓએ સ્થાનિક પોલીસને ટાંકીને આ માહિતી આપી  હતી. મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 






રેલવેએ જણાવ્યું છે કે 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અથડામણને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. જે લાઇન પર આ ટ્રેન અકસ્માત થયો તે હાવડા-ચેન્નઇ લાઇન તરીકે ઓળખાય છે.


રેલ્વેએ જણાવ્યું છે કે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને વિજયનગરમ જિલ્લાના કાંતકપલ્લે ખાતે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે તેના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત પાછળનું કારણ માનવીય ભૂલ હોવાનું કહેવાય છે.






ભારતીય રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ટ્રેન દુર્ઘટના અલામંદા અને કંટકપલ્લી રેલ્વે સ્ટેશન વચ્ચે થઈ હતી. અકસ્માતને કારણે ઈલેક્ટ્રીક લાઈનો ઉખડી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકોને પણ આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


વિજયનગરમ જિલ્લામાં આ ટ્રેન દુર્ઘટના પછી રેલ્વેએ 13 ટ્રેનોને રદ, ડાયવર્ટ અથવા ટર્મિનેટ કરી છે. રેલ્વેએ કહ્યું છે કે દુર્ઘટનાને કારણે પાટા બ્લોક થઈ ગયા છે, જેના પર રિપેરિંગનું કામ હજુ ચાલુ છે, જેના કારણે ટ્રેન અહીંથી પસાર થઈ શકતી નથી.


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ રેડ્ડીએ કહ્યું કે તેમણે જિલ્લા અધિકારીઓને તાત્કાલિક રાહત પગલાં લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સરકારે ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેવા લોકોને 50,000 રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.


મુખ્યમંત્રી રેડ્ડીએ પીડિતો માટે વળતરની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તેમના રાજ્યોમાં મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે અન્ય રાજ્યોના મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.